Home ક્ચ્છ કચ્છના ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંત સંમેલન યોજાયું

કચ્છના ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંત સંમેલન યોજાયું

110
0
કચ્છ : 8 માર્ચ

સશક્ત મહિલાથી સમૃદ્ધ ભારતનુ નિર્માણ થાય છે
– કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઇરાની

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને કચ્છના સફેદ રણ ધોરડો ખાતે રાજ્યનું પ્રથમ મહિલા સંત સંમેલન યોજાયું હતું. આ સંમેલન સાધ્વી ઋતંભરાજીએ દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મૂક્યું હતું. આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલી મહિલા સંત શિબિરને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “મહિલાઓ નૈતિકતા, વફાદારી, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ છે, આપણા વેદ અને પરંપરાએ આહવાન આપ્યું છે કે મહિલાઓ રાષ્ટ્રને દિશા આપવા માટે સક્ષમ અને સક્ષમ હોવી જોઈએ, મહિલાઓની પ્રગતિ હંમેશા રાષ્ટ્રના સશક્તિકરણને બળ આપે છે, આજે દેશની પ્રાથમિકતા ભારતની વિકાસ યાત્રામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારીમાં રહેલી છે” વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સેમિનારને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યો હતો.

પ્રારંભમાં વડાપ્રધાનશ્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી સદીઓથી નારી શક્તિના પ્રતીક તરીકે કચ્છની ધરતીને વિશિષ્ઠ ગણાવતાં જણાવ્યું હતું કે, “અહીંની મહિલાઓએ સમગ્ર સમાજને કઠોર પ્રકૃતિ સાથે જીવવાનું શીખવ્યું છે. પડકારો, લડવાનું શીખવ્યું અને જીતવાનું શીખવ્યું,” તેમણે કહ્યું હતું કે, તેમણે પાણીની જાળવણી માટેની કચ્છની મહિલાઓની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. સરહદી ગામમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોઈ વડાપ્રધાનશ્રીએ 1971ના યુદ્ધમાં આ વિસ્તારની વીરાંગના મહિલાઓના યોગદાનને યાદ કર્યું.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, જે રાષ્ટ્ર આ ધરતીને માતા માને છે, ત્યાંની મહિલાઓની પ્રગતિ હંમેશા રાષ્ટ્રના સશક્તિકરણને બળ આપે છે. “આજે દેશની પ્રાથમિકતા મહિલાઓના જીવનને સુધારવાની છે. આજે દેશની પ્રાથમિકતા ભારતની વિકાસ યાત્રામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારીમાં રહેલી છે”. વર્તમાન સરકારે 11 કરોડ શૌચાલય બનાવ્યા, 9 કરોડ ઉજ્વલા ગેસ કનેક્શન આપ્યા, 23 કરોડ જન ધન ખાતા ખીલવ્યા જેણે મહિલાઓને ગૌરવ અને સન્માન સાથે જીવવાની સરળતા કરી આપી છે.
વડાપ્રધાને કહ્યું કે સરકાર મહિલાઓને આર્થિક મદદ પણ કરી રહી છે જેના દ્વારા મહિલાઓ આગળ વધી શકે, પોતાના સપના પૂરા કરી શકે અને પોતાનું કામ શરૂ કરી શકે. “સ્ટેન્ડઅપ ઈન્ડિયા’ હેઠળ 80 ટકાથી વધુ લોન મહિલાઓના નામે છે. લગભગ 70 ટકા લોન અમારી બહેનો અને દીકરીઓને મુદ્રા યોજના હેઠળ આપવામાં આવી છે. “તેમજ, PMAY હેઠળ બનેલા 2 કરોડ ઘરોમાંથી મોટાભાગના ઘર મહિલાઓના નામે છે.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આ સરકારે મહિલાઓ માટે પ્રસૂતિની રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી છે. કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટેના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે. દુષ્કર્મ જેવા જઘન્ય ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પુત્ર અને પુત્રી સમાન છે તે ધ્યાનમાં રાખીને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર પુત્રીઓના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે, દેશ સશસ્ત્ર દળોમાં દીકરીઓની વધુ ભૂમિકાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે, સૈનિક શાળાઓમાં દીકરીઓનો પ્રવેશ શરૂ થઈ ગયો છે.
દેશમાં ચાલી રહેલા કુપોષણ સામેના અભિયાનમાં મદદ કરવા વડાપ્રધાને લોકોને વિનંતી કરી હતી. તેમણે બેટી બચાવો બેટી પઢાવોમાં મહિલાઓની ભૂમિકા ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે ‘કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન’માં લોકોની ભાગીદારી માટે જણાવ્યું હતું.


‘વૉકલ ફોર લોકલ’ એ અર્થતંત્ર સાથે સંબંધિત એક મોટો વિષય બની ગયો છે, પરંતુ તેનો મહિલા સશક્તિકરણ સાથે ઘણો સંબંધ છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. મોટાભાગના સ્થાનિક ઉત્પાદનોની સત્તા મહિલાઓના હાથમાં છે, એમ તેઓએ જણાવ્યું હતું.
આ તકે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની એ જણાવ્યું હતુ કે, સ્વને સંસાર માટે સમર્પિત કરવાનું સાધ્વીનું જીવન ધર્મ, રાષ્ટ્ર, સમાજ, વ્યકિતને સમર્પિત તમારા જીવનને વંદન એમ કહેતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે વરસના ૩૬૫ દિવસજે સ્ત્રી પોતાને દિકરી, માં, પત્ની, બેન તરીકે જે ત્યાગ સેવા કરે છે તે આ એક દિવસની દરકાર કરી સન્માન પામે છે. આપણા દેશની સભ્યતા સંસ્કાર છે કે મહિલા બાળદાત્રિ છે. જે સદીઓથી વિશ્વ કલ્યાણકારી છે. મહિલા શિક્ષણદાતા સરસ્વતીરૂપ છે એવી સશકત મહિલા સમૃધ્ધ ભારતનું નિર્માણ કરે છે. પ્રધાનમંત્રીની પરિકલ્પનાથી મહિલાના કલ્યાણ માટે સશકત મહિલા સમૃધ્ધ ભારતની પરિકલ્પના છે.


નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું નામ આજે આયુષ્યમાન ભારત યોજના નામકરણ કરી ૪ કરોડ ૭૦ લાખ ગરીબ બહેનોના સ્તન સ્ક્રીનીંગ ટેસ્ટની તપાસ કરાવડાવી છે.
૧.૬૬ કરોડ સર્વાઇલ કેન્સરની તપાસ થઇ છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ ૨૪૦૦થી વધારે હોસ્પિટલમાં દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે સારવાર આપી છે.
છેવાડાના ગામડાની બહેનો આયુષ્માન કાર્ડ લઇ સ્વાસ્થ્ય સેવા મેળવે છે. નરેન્દ્રભાઇએ આ યોજનાનો પ્રારંભ કર્યો અને ઈચ્છા શકિત અને ઈરાદાથી આજે આ વિશાળ દેશમાં આયુષ્યમાન અમલી બની. દોઢ વર્ષમાં કોરોના વેકસીન પણ આ ઈરાદાથી જ મળી છે.
સરકારના ૧૮ મંત્રાલયો મહિલા અને બાળ વિકાસના માધ્યમથી પોષણ અભિયાનમાં દરેક પોતાની સેવા આપે છે. સરકારના પ્રયત્નથી ૧૨ લાખ આંગણવાડીઓને પગલે ૪૦ કરોડ મહિલાને લાભ મળ્યો છે. દેશમાં ૮.૩૦ લાખ આંગણવાડી કાર્યકર્તાઓને ભારત સરકારના સૌજન્યથી મોબાઇલ ફોન આપી ટેકનોલોજીથી પોષણ અભિયાનનું સરવૈયું રાખી શકે છે. ૧૦ લાખથી વધુ આંગણવાડી બહેનોની તાલીમ પોષણ અભિયાન હેઠળ અપાઇ છે.


દેશમાં લોકડાઉન હતું ત્યારે પણ સખી વન સ્ટોપ કેન્દ્ર ચાલુ હતા.
૨૪ કરોડ બેંક ખાતા માત્રને માત્ર મહિલાઓના છે. દેશમાં મુદ્વા યોજનાથી ૮૦ ટકા લાભાર્થી, ગુજરાતની બહેનો છે. મહિલાઓને ૨૬ અઠવાડિયાની પ્રસુતિની સવેતન રજાઓ, સ્કીલ ઈન્ડિયા હેઠળ સેનાની ત્રણે સેવામાં મહિલાઓ સક્રિય યોગદાન આપી રહી છે. આ તકે શ્રીમતી ઈરાનીએ દેશના વિકાસમાં મહિલાઓનો અને ગુજરાતના અમૂલ્ય ફાળાની વિગતે માહિતી પૂરી પાડી હતી તેમજ સંત મહિલાઓ સમક્ષ બે વચન ભિક્ષામાં માંગ્યા હતા જેમાં કુપોષિત બાળકોને પોષણ અભિયાનમાં જોડાવવા દરેક ગામમાં પ્રચાર પ્રસાર થાય તેમજ બેટી બચાવો બેટી પઢાવો ની સાથે કન્યા ભૃણ હત્યા અટકે આ બાબતો સમાજમાં સંચારિત કરવાની તેમણે ભિક્ષામાં માંગી હતી.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રીશ્રી સાધ્વી નિરંજના દેવીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે બે પડકારો મહત્વના ગણાવી તેના ઉપર ચિંતન કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં પરિવારને એક રાખવાનો અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી દેશને બચાવવાનો પડકાર છે મહિલા સંતો સમાજને પડકારો સામે જાગૃત કરવા પ્રેરિત કરે તેવું સૂચન કર્યું હતું.


કેન્દ્રીય રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી ડો. ભારતી પવારે માતા જીજાબાઈ, સાવિત્રીબાઈ ફૂલે સહિતના અન્ય ઉદાહરણો દ્વારા માતૃ શક્તિને મહત્વની ગણાવી પૂર્વજોના આ સંસ્કાર વારસાને આગળ ધપાવવા ઉપર ભાર મૂક્યો હતો. સામાજિક અને રાજકીય ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિ કરણ ક્ષેત્રે ખૂબ જ અસરકારક કામગીરી થઈ હોવાનું જણાવ્યું હતું. આવનારા સમયમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન અતિ મહત્વનું હોવાનું મંત્રીશ્રી ડો.પવારે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય ભરમાંથી વિવિધ સંપ્રદાય સાથે સંકળાયેલા મહિલા સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સંમેલનમાં શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ વિનોદભાઇ ચાવડા, અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કનક ડેર, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી શાહ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટ, અધિક આરોગ્ય જીલ્લા અધિકારી પ્રેમકુમાર કન્નર તેમજ વિવિધ પ્રાંતની સાધ્વીઓ અને મહિલા મોર્ચાની મહિલાઓ ઉપસ્થિતિ રહયા હતા.

 

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here