Home ક્ચ્છ ભુજ ખાતે આવેલા યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 511 પોથી શ્રીમદ ભાગવત...

ભુજ ખાતે આવેલા યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 511 પોથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું

158
0
કચ્છ : 5 એપ્રિલ

ભુજ ખાતે આવેલા યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 511 પોથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જીવદયા અને પિતૃ મોક્ષાર્થે ચાલી રહેલી કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. કથામાં આજે સોમવારે ત્રીજા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં 6 હજાર જેટલા સત્સંગી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી હતી. વીશાળ કથા મંડપ અને 50 મીટર લાંબા કથા મંચ પર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તથા સંતો મહંતો અને વ્યાસપીઠ સહિત હરિભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે. જીવદયા માટે ભાવિકો વચ્ચે દૈનિક ઝોળી ફેરવવામાં આવે છે જેમાં મળેલી તમામ રકમ ગૌ સેવાર્થે અને પશુ પક્ષી માટે ખર્ચ કરવામાં આવશે.

ભગવાન સ્વામિનારાયણ દ્વારા ગુજરાતમાં નર નરાયણ દેવની મૂર્તિ સ્થાપિત 6 મંદિરો પૈકીનું ભુજ સ્વામિનારાયણ મંદિર એક છે. જે ભૂકંપમાં જર્જરિત થતા નૂતન સ્વામિનારાયણ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સ્થાનિક સાથે દેશ વિદેશના ભાવિકો, પ્રવાસીઓ મુલાકાત લેતા રહે છે. એવા યાત્રાધામ સમાં મંદિરે કોરોનામાં અને પરિવારમાં અવસાન પામેલા પિતૃઓના મોક્ષાર્થે 511 પોથી શ્રીમદ સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન જીવદયા માટે ઝોળી દ્વારા મળેલી તમામ ગૌ સેવાર્થે ખર્ચ કરવામાં આવશે એવું શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું.

કથા સવારના 9 થી બપોરના 12 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી દિવસમાં બે વખત યોજાય છે. ભક્તોને ગરમી ના પડે તે માટે ખાસ પાણીના ફુવારા પદ્ધતિ ગોઠવવામાં આવી છે. પાણી, છાસ શેરડીનો રસ પેકિંગ બોટલમાં આપવામાં આવે છે. લોકોની હજારોની ભીડ વચ્ચે પણ સ્વચ્છતાનું ચુસ્ત પણે પાલન થતું જોવા મળે છે. સેંકડો હરિભક્ત ભાઈ બહેનો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. દેશ વિદેશના ભાવિકો ખાસ કથા પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે.

મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી સ્વામીના આશિષ હેઠળ ઉપ મહંત ભગવતજીવનદાસજી સ્વામી, પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પારસદ કોઠારીવર્ય જાદવજી ભગત વગેરે સંતોની દેખરેખ હેઠળ મંદિરના ટ્રસ્ટી ગણ અને હરિભક્તો દ્વાર આયોજન વ્યવસ્થા સાંભળવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આવેલી દરેક કુદરતી આફત વખતે ભુજ મંદિર અને તેની તાબેના મંદિર દ્વારા લોકોની તન, મન અને ધનથી સેવા કરવામાં આવી છે. તે પછી 1971નું યુદ્ધ હોય કે 1956 અને 2001નો ભૂંકપ. દરેક આફતમાં આ મંદિર લોકોની સહાય કરતું રહ્યું છે.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here