Home ક્ચ્છ દેશની ખ્યાતનામ ૧૧ મહિલા વૈજ્ઞાનિકોના વિશિષ્ટ પ્રદાન માટે તેમની સેવાઓને સન્માનિત કરાયા

દેશની ખ્યાતનામ ૧૧ મહિલા વૈજ્ઞાનિકોના વિશિષ્ટ પ્રદાન માટે તેમની સેવાઓને સન્માનિત કરાયા

120
0
કચ્છ : 15 માર્ચ

સ્ત્રીઓને ઘરના ઉંબરેથી અંતરીક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની છે, તે માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઇને કમર કસવી પડશે : અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા દેશની ખ્યાતનામ ૧૧ મહિલા વૈજ્ઞાનિકોના વિશિષ્ટ પ્રદાન માટે તેમની સેવાઓને સન્માનિત કરવાનો આજે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ ડો. જે. એમ. વ્યાસને વર્ષ-૨૦૨૨માં પદ્મશ્રી એવોર્ડ માટે પદનામિત કરાયા તે બદલ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યએ તેમને અભિનંદન પાઠવી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ફકત દેશમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી નામના મેળવી રહી છે તેનો સંપૂર્ણ શ્રેય તેમને આપ્યો હતો.

અધ્યક્ષાશ્રીએ કહ્યું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની રચના કરવાનો મુખ્ય હેતુ ગુન્હા ક્ષેત્રના ઉકેલ માટે વૈજ્ઞાનિક ટેકનિકલ નિષ્ણાંતોની ઉણપ દૂર કરવાનો છે. ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપનાથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુન્હા સંશોધન ક્ષેત્રમાં અને આંતરિક સલામતી વ્યવસ્થા ઊભી કરવા માટે હાલ જણાઈ રહેલ ઉચ્ચ કક્ષાની ટેકનિકલ નિષ્ણાતોની ઉણપ દૂર થશે.

તેમણે ઉમેર્યું કે, ઓક્ટોબર-૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષા તથા ઈન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો ગૌરવપૂર્ણ દરજ્જો આપતા, આ યુનિવર્સિટી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી તરીકે કાર્યરત્ થઈ છે. આ યુનિવર્સિટીએ ખૂબ પ્રગતિ કરી દેશભરમાં અને વિશ્વભરમાં ખૂબ નામના પ્રાપ્ત કરી છે.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય તેમજ આતંરરાષ્ટ્રીય કક્ષાએ ગંભીર અને જટિલ પ્રકારના ગુન્હાઓનું પ્રમાણ દિવસોદિવસ અત્યંત વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્રઘાતક પ્રવૃતિઓ તેમજ જટિલ ગુન્હાઓના ઉકેલ માટે ફોરેન્સિક ટેક્નોલોજી ખૂબજ ઉપયોગી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ દેશની આંતરિક સુરક્ષાની જાળવણીને લક્ષમાં લેતા ઉચ્ચ કક્ષાના ફોરેન્સિક તથા મનોવૈજ્ઞાનિક નિષ્ણાતો તૈયાર કરવાની તાતી જરૂરિયાત છે. આગામી સમયમાં આ નિષ્ણાતો આવા પડકારોનો સક્ષમતાથી સામનો કરી શકશે. ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર કરી તેમના ટેક્નોલોજીકલ જ્ઞાનનો ઉપયોગ કરી દેશ અને વિશ્વભરમાં શાંતિ અને સુખાકારી જળવાઈ રહે તેવો શુભ આશય છે.

અધ્યક્ષાશ્રીએ કહ્યું કે, રાજમાતા મીનળદેવીએ સદીઓ પહેલાં ગુજરાત પર શાસન કર્યુ હતું. જયારે આપણા મુખ્યમંત્રી મહિલા થઇ ગયા હોય, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનજી પણ એક મહિલા તરીકે સંસદ ચલાવતા હોય. થોડા સમય અગાઉ આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાજી પાટીલ પણ એક મહિલા તરીકે સમગ્ર દેશના વહીવટનું સંચાલન કરતા હોય એવા સમયે આપણે પણ સંગઠિત અને મજબુત બની આગળ આવવું જરૂરી છે. ગુજરાત સરકારે મહિલા સશકિતકરણની દિશામાં અનેક પગલાંઓ ભર્યા છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને હું સફળતાપૂર્વક નિભાવી રહી છું. સ્ત્રી એ સામાજિક શકિત છે. આજે આપણે સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક સમાનતા અને અધિકારીતા વિષે પ્રયત્નશીલ છીએ ત્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં પુરૂષો સાથે મહિલાઓ અભિન્ન અંગ બની રહે તે જરૂરી છે.

તેમણે ઉમેર્યું કે, ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રની આ રાષ્ટ્ર તેમજ વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે. જે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. આ યુનિવર્સિટી દ્વારા સીનીયર ફોરેન્સીક મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન કરી વડાપ્રધાનશ્રીની મહિલા સશકિતકરણની હિમાયતને બળ પુરૂ પાડયું છે. નારી સશકિતકરણની દિશામાં દેશમાં ઘણો જ સુધારો થયો છે. છતાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે. દેશના છેવાડાની સ્ત્રીને પણ શિક્ષિત કરી જાગૃતતા પ્રદાન કરીને તેમને આર્થિક, સામાજિક અને રાજનીતિક સાંસ્કૃત્તિક દૃષ્ટિએ સન્માનજનક સ્થિતિ સુધી લાવવા પ્રયત્ન કરી શકાય તેવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે. સ્ત્રીઓને ઘરના ઉંબરેથી અંતરીક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની છે અને તે માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઇને પોતાની જાતને સશકત બનાવવા કમર કસવી પડશે.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here