પાટણ : 3 ફેબ્રુઆરી
દેશના વડાપ્રધાન દ્વારા સ્વદેશી અપનાવો ના ભાગરૂપે ખેતીમાં પણ આમૂલ પરિવર્તન કરવા ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે હાકલ કરી છે.જેના ભાગરૂપે દેશના અનેક ખેડૂતો રાસાયણીક ખેતી ને તિલાંજલિ આપી કુદરતી ખેતી તરફ વળ્યા છે.જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ખેડૂતે પણ વડાપ્રધાનનો આ સંદેશો ઝીલી લઈ કુદરતી ખેતી અપનાવી પોતાની 35 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે અને સારી ઉપજ મેળવવાની આશા વ્યક્ત કરી છે.

શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ખેડૂત કેતનભાઇ વાઢેર વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા હતા જેમાં તેઓ રાસાયણિક ખાતર , બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી પાકનું વાવેતર કરતા હતા.પરંતુ બદલાતા સમય અને ખેતી માં આવેલા પરિવર્તનથી રાસાયણિક ખેતીથી લોકોના આરોગ્ય પર કેટલીક માઠી અસરો થતી હોવાનું પ્રકાશમાં આવતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશના ખેડૂતોને રાસાયણીક ખેતી ને છોડી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું છે અને તેની જનજાગૃતિ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ અભિયાન ચલાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે . જેના ભાગરૂપે ચાલુ વર્ષે કેતનભાઇ વાઢેરે રાસાયણીક ખેતી ને અલવિદા કહી પોતાની 35 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ચણાનું વાવેતર કર્યું છે.





















