પાટણ: 24 મે
પાટણ શહેરના સુભાષચોક ખાતે સંવિધાન બચાવોના નારા સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કન્વીનર અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઇ હતી જેમાં જીગ્નેશ મેવાણીએ વધતી જતી મોંઘવારી વિદ્યાર્થીઓ સાથે મજાક સમાન પેપર લીક સમાજ – સમાજ અને જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેની વિભાજનકારી નીતિઓ સહિત લોકોને ગેરમાર્ગે દોરતી સરકારની નીતિઓ સામે ભાજપ અને આરએસએસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં સંવિધાન બચાવો સભાઓની જગ્યાએ ભાજપની કુટાઈ , પીટાઈ અને ઠુકાઈ કરવાના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી .
પાટણના સુભાષ ચોક ખાતે જંગી જાહેર સભાને સંબોધતા જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુએ આ દેશ માટે 12 થી 15 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો છે જ્યારે નરેન્દ્ર મોદી અડધો દિવસ પણ જેલમાં રહ્યા નથી . દેશની સ્વતંત્રતા માટે લોહીનું એક ટીપું પણ આપ્યું નથી તેવા લોકો આજે શહીદો ના નામે વિરાંજલી કાર્યક્રમ યોજી રહ્યા છે . વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ શહેરોમાં હિંસાઓ થઈ તેની શાંતિ અને અમનની અપીલ માટે નરેન્દ્ર મોદીને કરેલ ટ્વીટ બદલ મારી ઉપર એક મહિલાને આગળ કરી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે માટે આ સંવિધાન બચાવો સભાઓ યોજવામાં આવી રહી છે . હાલમાં દેશમાં મોંઘવારી બેરોજગારીએ માઝા મૂકી છે ત્યારે પ્રજા સરકાર સામે અવાજ ન ઉઠાવે અને અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકવવા માટે ચૂંટણી સમયે મંદિર , મસ્જીદ , હિંદુ – મુસ્લિમ , ભારત પાકિસ્તાન ના મુદ્દાઓ ઉભા કરવાવાળા આવા રામના નકલી ભક્તો ને ઓળખવા મેવાણીએ આહ્વાન કર્યું હતું .

વર્તમાન સરકારે દેશની તમામ એજન્સીઓ પોતાના કબજામાં લઇ તેનું સંચાલન કરી રહી છે જેના પરથી ભૂતકાળની જેમ રાજાશાહી , સામંતશાહી અને ગુલામી પ્રથા લાદવાનો આ નવો કીમિયો હોય તેમ લાગી રહ્યું છે માટે આ હિટલરશાહી સરકાર સામે રોડ ઉપર ઉતરવું પડશે . 2022 ની ચૂંટણીના સંદર્ભે જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પઢાઈ , દવાઈ , ઓર કમાઈ એ કોંગ્રેસનો ચૂંટણી એજન્ડા રહેશે રહેશે
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે હાલમાં બંધારણનો ઠેર ઠેર ભંગ થઇ રહ્યો છે . ડો . આંબેડકરનું જે આઝાદ ભારતનું સ્વપ્ન હતું તે આઝાદ ભારત આજે ફરીથી ગુલામીની જંજીરોમાં જકડાવવાજઈ રહ્યું છે ત્યારે જીગ્ને મેવાણીના આ અભિયાનમાં સૌને સહભાગી થવા અને યુવાનોને આગળ આવવા હાંકલ
કરી હતી .
જીગ્નેશ મેવાણીએ પોતાના ઉપર પર થયેલ ખોટી એફઆઈઆર બાદ સમગ્ર રાજ્યમાં સંવિધાન બચાવો જાહેર સભાઓ યોજવાની શરૂઆત કરી છે . જેના ભાગરૂપે પાટણના સુભાષ ચોક માં વિવિધ સમાજના લોકોની ઉપસ્થિતિ માં વિશાળ સભા યોજાઇ હતી . જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા .




















