પાટણ : 25 માર્ચ
ઉનાળાની શરૂઆત થતાની સાથે સુયૅનારાયણનો તાપ તપવાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ત્યારે આ ઉનાળાની બળબળતી ગરમીમાં અબોલ જીવોની ચિંતા સેવનાર અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી આશરો સંસ્થા દ્વારા પાટણ શહેરમાં અબોલા જીવો માટેનાં અભિયાનની શરૂઆત કરવામાં આવી હોવાનું સંસ્થાના પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું.
સેવા પરમો ધર્મનું કાયૅ કરતી આશરો સંસ્થા દ્વારા ઉનાળાને ધ્યાનમાં રાખીને અબોલ જીવો માટે પીવાના પાણી માટે લોક સહયોગથી 1100 જેટલી પાણીની કુંડીઓ તૈયાર કરવામાં આવી છે. જે શહેરીજનોની માંગ મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં મુકી અબોલ જીવો ને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે ભટકવું ન પડે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે, આજના સમયમાં જો માણસને પાણીની તરસ લાગે તો તે પાણીની બોટલ ખરીદી કરી ને પણ પોતાની તૃષ્ણા પરિપૂર્ણ કરી શકે છે, પરંતુ અબોલ જીવો માટે પહેલા હવાડા, કુંડીઓ કાયૅરત હતા જે આજે લુપ્ત થયા હોય અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખાં મારવાં પડતાં હોય છે. ત્યારે આશરો સેવાકીય સંસ્થા ને આ વિચાર આવતાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
આશરો સંસ્થા દ્વારા લોક ભાગીદારીથી કુંડીઓની ખરીદી કરી શહેરના શોપિંગ સેન્ટરોમાં, સોસાયટી વિસ્તારમાં, મોહલા પોળોમાં શહેરીજનોની માંગ મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને ઉનાળામાં અબોલા શ્વાનો, ગૌમાતાઓ સહિતના પશુ પક્ષીને પાણી માટે ભટકવું નહીં પડે. અત્યાર સુધીમાં આશરો સંસ્થા દ્વારા શહેરની વિવિધ સ્કુલ, કોલેજ અને અવાવરૂ જગ્યાએ અંદાજે 11000 જેટલાં માટીનાં કુંડા વિતરણ કરવામાં આવ્યા હોવાનું અને આગામી દિવસોમાં 1100 જેટલી પાણીની કુંડીઓનું વિતરણ કરવામાં આવનાર હોવાનું સંસ્થાના સેવાભાવી સભ્યો દ્વારા જણાવ્યું હતું.





















