પાટણ : 8 માર્ચ
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સરકાર દ્વારા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે.ત્યારે યુદ્ધના બારમા દિવસે પાટણ શહેર નો છેલ્લો વિદ્યાર્થી હેમખેમ પોતાના ઘરે પરત આવતા તેના પરિવારજનો માતા-પિતા અને સ્નેહીજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે જેને લઇને યુક્રેનમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે . આ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ છે અને રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. પાટણ શહેરમાં ઓપરેશન ગંગા હેઠળ મેડિકલના અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવ્યા છે. એક વિદ્યાર્થી બાકી હતો તે પણ યુદ્ધના બારમા દિવસે રોમનીયા બોર્ડર થઈ ઇન્ડિયન એમ્બેસી દ્વારા વ્યવસ્થા કરાયેલ સ્પેશ્યલ ફ્લાઇટ મારફતે દિલ્હી પહોચ્યો હતો અને ત્યાંથી પોતાના ઘરે આવી પહોંચતા સમગ્ર પરિવારમાં ખુશી વ્યાપી હતી . પોતાના દીકરાને સુરક્ષિત જોઈને માતા – પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો સાથે સાથે સરકારની આ કામગીરીની માતાપિતાએ પણ સરાહના કરી ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો .
યુક્રેનની ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં mbbs ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પાટણના ધૈર્ય દેસાઈએ જણાવ્યું હતું કે યુદ્ધ નું કાઉન્ટડાઉન શરૂ થતાં જ બીજા દિવસે યુનિવર્સિટીમાંથી નીકળી ગયા હતા પરંતુ રોમાનિયા બોર્ડર ઉપર બે થી ત્રણ હજાર લોકોની લાઈન હોવાને કારણે ત્રણ દિવસ સુધી ત્યાં રોકાવું પડ્યું હતું જેને કારણે રોમાનિયા બોર્ડર ઉપર ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો ત્રણ દિવસ બાદ બોર્ડર ક્રોસ કર્યા પછી ઇન્ડિયન એમ્બેસી દ્વારા અમોને બસ મારફતે સેન્ટર ઉપર લઈ જવામાં આવ્યા હતા ત્યાં ત્રણ દિવસ અમે રાખી પુરી સગવડો આપી હતી અને ત્યારબાદ બસ મારફતે નજીકના એરપોર્ટ ઉપર લઈ જવામાં આવ્યા હતા અને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી લવાયા હતા જ્યાં ગુજરાતી ભવનમાં હું રોકાયો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે હું પાટણ આવી પહોંચ્યો છું યુદ્ધના આ બાર દિવસ આખી જિંદગી મને યાદ રહેશે તેમ ધૈર્ય દેસાઈએ જણાવ્યું હતું