સુરેન્દ્રનગર: 20 ડિસેમ્બર
સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ટાસ્ક ફોર્સની મદદથી બાળમજૂરી નાબૂદી ઝુંબેશને લઇને દરોડાઓ કરવામાં આવતા કારખાનામાં માલિકોમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરની મદદનીશ શ્રમ આયુક્તની કચેરીના અધિકારી કે.એન.ચુડાસમા, હાર્દિકભાઈ જી.નાકીયા, ભાવિનાબેન એચ.સિંધવ, નવિનભાઈ એસ.રામાનુજ સહિતના સ્ટાફે વઢવાણ જીઆઈડીસીમાં આંબાવાડી ખાતે આવેલી જય એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડ્યો હતો. જેમાં કારખાનામાં મજૂરી કામ કરતા 2 બાળમજૂરને બાળ મજૂરીથી મુક્ત કરાવી તરૂણ બાળશ્રમિયોગીને બાળકલ્યાણ સમિતિ સુરેન્દ્રનગર સમક્ષ અધિકારી દ્વારા સોંપી આપવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં કારખાનાના માલિક ભૂપેન્દ્રસિંહ જુવાનસિંહ ચુડાસમા વિરુદ્ધ તરૂણ શ્રમીકોને ગેરકાયદેસર કામે રાખી ઓછું વેતન આપી મજૂરી કરાવી ગુનો કર્યાની ફરિયાદ અધિકારી કે.એન.ચુડાસમાએ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ પી.વાઘેલા ચલાવી રહ્યા છે.જ્યારે ચોટીલા પંથકના રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા એ.એ.અજમેરા પેટ્રોલ પંપ પર દરોડો કરાયો હતો. જેમાં પણ એક બાળમજૂરને મુક્ત કરાવી તેના માલિક સામે ગુનો નોંધાવ્યો હતો.
આમ જિલ્લામાંથી ત્રણ બાળમજૂરને મુક્ત કરાવવાની સાથે દરોડાની કાર્યવાહી કરાતા કારખાના સહિતના માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.સુરેન્દ્રનગરની મદદનીશ શ્રમ આયુક્ત કચેરીના અધિકારીઓ સહિતના સ્ટાફ દ્વારા સમયાંતરે દરોડા પાડીને બાળમજૂરોને મુક્ત કરાવાયા છે. 2022ના ફેબ્રુઆરીમાં 5, માર્ચમાં 5 સહિત આ 2 માસમાં કુલ 10 બાળમજૂરને મુક્ત કરવામાં આવ્યા હતા.