Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાનગઢ, સાયલા અને ચોટીલા તાલુકાના ગામો હજુ સુધી નર્મદાના...

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાનગઢ, સાયલા અને ચોટીલા તાલુકાના ગામો હજુ સુધી નર્મદાના નીરથી વંચિત

134
0
સુરેન્દ્રનગર : 25 માર્ચ

– ખેડૂતો દ્વારા સૌની યોજનાનો લાભ આપવા માટેની માંગણી

– ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત સાથે મહા આંદોલનની તૈયારી

સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી, સાયલા, ચોટીલા અને થાનગઢ તાલુકાના ગામો હજુ પણ નર્મદાના નીરથી વંચિત રહ્યા છે. હાલ ઉનાળાની શરૂઆત થતાં જ પશુપાલન અને પીવાના પાણીની ગંભીર મુશ્કેલી સર્જાઇ છે ત્યારે આ તાલુકામાં શા માટે અત્યાર સુધી નર્મદાનાં નીરથી વંચિત રહ્યાં તે જાણવા માટે જમીની સ્તર સુધી જવું જ પડે. તો જ સત્ય હકીકત બહાર લાવી શકાય તે માટે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના થકી નર્મદાના નીર ભાવનગર, દ્વારકા અને મોરબી સુધી વર્ષોથી પહોંચી ચુક્યા છે.

ત્યારે આ તાલુકાના એક પણ ગામને સૌની યોજનાનો લાભ મળતો નથી. સને 1997થી 2000 સુધી પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ ત્યારે મુળી તાલુકાનાં રામપરડા અને અન્ય ગામોમાં આશરે 200 જેટલા બોર પાડી પાઈપલાઈન થકી સુરન્દ્રનગર વઢવાણ જોરાવરનગરને સતત પાણી વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. અને થાનગઢ તાલુકાના છેવાડાના બોર્ડર પરના ગામોમા આશરે 400 બોર પાડી પાઈપલાઈન થકી રાજકોટ પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને અમારા ભુતળ ખાલી કરવામાં આવેલાં. ત્યારે સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે, રીચાર્જ યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવશે અને નર્મદાના નીર વહેલી તકે આ ગામડામાં આપવામાં આવશે. ત્યાર બાદ સૌની યોજનાનું કામ ચાલુ થતાં ખેડૂતોને વિશ્વાસ હતો કે, એમને સૌ પ્રથમ નર્મદાના નીર મળશે, પરંતુ ખેડૂતો કૂવા કાંઠે તરસ્યા હોય જેવો ઘાટ સર્જાયો છે.

2016માં મુખ્યમંત્રી વિજય રૂપાણી તરણેતર મેળામાં જાહેરમાં કહ્યું હતું કે, સૌની યોજના થકી નર્મદાનાં નીર આ તાલુકામાં સૌ પ્રથમ આપવામાં આવશે. પરંતુ આજ દિન સુધી એક પણ ટીપું પાણી આ તાલુકામાં આપેલ નથી અને સરકાર દ્વારા ખેડૂતોને મોટામા મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો મુખ્યમંત્રી સુધી રજુઆત કરતાં રહ્યાં છે. કલેકટરને પણ અનેક આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને આ બાબતે આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. પરંતુ પરિણામ શૂન્ય જ છે. સૌની યોજનાની પાઈપ લાઈન સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી મુળી અને થાનગઢ તાલુકાની જમીન નીચેથી પસાર થાય છે. આ તાલુકા ઉંચાણવાળા વિસ્તારમાં છે. માટે સૌની યોજના થકી ચેકડેમો તળાવો ભરવામા આવે તો ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકે તેમ છે. નહીંતર હિજરત કરવાની રહેશે એ ચોક્કસ છે ત્યારે ખેડૂતો ફરી વખત લડી લેવાનો મુડ બનાવી લીધો છે.

મુળી તાલુકાનાં ગામોમાંથી પસાર થતી સૌની યોજના પાઈપલાઈન થકી કુદરતી માર્ગે પાણી આપવામાં આવે તો કેટલાં ગામોમાં લાભ મળી રહે તેના પર એક નજર કરીએ તો રામપરડા વાલ્વથી દુધઈ, ટીકર, સરલા, સુજાનગઢ, પાંડવરા, દિગસર અને દાણાવાડાથી પરત ધોળીધજા ડેમમાં નર્મદાના નીર પરત ફરે છે. વાલ્વ નંબર (2) રામપરડાથી દુધઈ,ગઢડા, ખંપાળીયા,લીયા, વડધ્રા,મહાદેવ ગઢ, ચિત્રોડી અને દિઘડીયાથી બ્રાહ્મણી ડેમમા પરત પાણી જાય છે. વાલ્વ નંબર (3) થાનગઢના કાનપર પાસેથી કાનપર, સોનગઢ, રાણીપાટ,સાગધ્રા,ઉડવી,વરમાર, દાધોળીયા, ભેટ, સરા, આંબરડી, કરશનગઢથી બ્રાહ્મણી ડેમમા પરત પાણી જાય છે. આ રીતે કુદરતી વહેણ પ્રમાણે પાણી વહે છે. તો તેની વચ્ચે આવતાં તળાવ ચેકડેમો ભરવામાં આવે તો હજારો હેકટર જમીન વાવેતર થઈ શકે અને હજારોની સંખ્યામાં પશુધન નિભાવી શકાય તેમ છે.

પરંતુ સરકાર આ તાલુકામાં નર્મદાના નીર આપવા માટે દુર્લક્ષ સેવે છે, તે જગ જાહેર છે, તેનું પણ એક કારણ છે કે, સરકારની કે ભાજપને આ તાલુકામાં વિધાનસભા સીટ મળતી નથી તેનો એક રંજ રાખી ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. આ બાબતે ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વિધાનસભાનાં ફ્લોર ઉપર પણ ધારદાર રજૂઆત આ સત્રમાં કરી છે. અને પાણી આપવા માટે સરકાર શું કામગીરી અને કાર્યવાહી હાથ ધરી છે ? તેવાં સવાલો ઉઠાવ્યા હતા પરંતુ સરકાર દ્વારા જવાબ આપવામાં આવતો નથી. ત્યારે ખેડૂતો હવે રજુઆત આવેદનપત્ર આપી કંટાળીને હવે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું

આ તકે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા, જે.કે.પટેલ, રતનસિંહ ડોડીયા અને રાણીપાટ સરપંચ મુન્નાભાઈ, ખંપાળીયા સરપંચ જીવણભાઈ,વેલાળા સરપંચ,ગઢડા સરપંચ,કળમાદ સરપંચ ધીરૂભાઇ ટાંક, દુધઈ સરપંચ, પાંડવરા સરપંચ મુન્નાભાઈ, દિગસર સરપંચ બલભદ્રસિંહ પરમાર, દાણાવાડા આગેવાનો, સુજાનગઢ આગેવાનો,ગામડે ગામડે ફરી ખેડૂતોને આંદોલનમા જોડવા માટે મુલાકાત કરી રહ્યા છે. ટૂંક સમયમાં તારીખ નક્કી કરી મોટું આંદોલન કરવામાં આવશે. જેમાં ગુજરાતભરમાંથી ખેડૂત આગેવાનો હાજરી આપશે તેમ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલ આ ગામોમાં 600થી 800 ફુટ નીચેથી બોરથી પાણી લેવામાં આવે છે અને તે પાણી 3000 ટીડીએસ વાળું હોય જે પાક ને નુકસાન કર્તા છે. ત્યારે ખેડૂતોને જીવન માટે ખેતી માટે પશુપાલન માટે એક જ ઉપાય નર્મદાના નીર છે. તે સૌની યોજના થકી મળી રહે તેમ છે.સરકાર આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી ખેડૂતોને પાણી આપી એમના ઉભા મોલને બચાવી લેવામાં આવે તેવી વિનંતી કરી હતી.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here