પાટણ : 3 ફેબ્રુઆરી
ચાણસ્મા તાલુકાના ખોરસમ-કંબોઈ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી બે મહિના અગાઉ છકડા સાથે યુવાનની લાશ મળી આવી હતી. બનાવને અકસ્માતમાં ખપાવી આડાસંબંધના મામલે કરાયેલ આ હત્યાનો ભેદ ચાણસ્મા પોલીસે ઉકેલી 6 આરોપીઓને ઝડપી લઇ ચાણસ્મા કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હારીજ તાલુકાના ચાબખા ગામના હમીરજી પ્રવીણજી ઠાકોર ની બે મહિના અગાઉ છકડા સાથે ખોરસમ નજીકથી પસાર થતી નર્મદાની નહેરમાંથી લાશ મળી આવી હતી. તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ મૃતકના ભાઇ અરવિંદજીએ હત્યાની શંકા ને લઇ લેખિત અરજી આપી પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે ગંભીર બની બનાવની તપાસ હાથ ધરતા કેનલ ઉપર રાત્રિના સમયે ત્રણ શખ્સોના મોબાઈલ લોકેશન મળી આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ કરતાં આ હત્યા આડા સંબંધો માં થઇ હોવાનું અને હત્યા બાદ મૃતકની લાશ છકડામાં રાખી બંને નહેરમાં પધરાવી દઇ સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવાનો કારસો રચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.





















