Home ગોધરા ગોધરા શહેરમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના 10 કેસો સામે...

ગોધરા શહેરમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના 10 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું

134
0
ગોધરા : 23 ફેબ્રુઆરી

પંચમહાલ જિલ્લા ના મુખ્ય મથક ગોધરા શહેરમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના 10 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરમાં કોરોના કેસો માંડ ઓછા થયા હતા ત્યાં જી બી એસ નામના જીવલેણ રોગે દેખા દીધી છે તેમજ આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાની પણ વિગતો સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

ગોધરા શહેરમાં કોરોનાના કેસોમાં માંડ બે દિવસથી રાહત મળી હતી ત્યાં શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના રોગે દેખા દેતા શહેરીજનો સહિત આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા સાપા રોડ,વાગડિયા વાસ, દયાનંદ નગર અને સતકેવલ સોસાયટી વિસ્તારોમાંથી આ રોગના લક્ષણો ધરાવતા 10 ઉપરાંત કેસો મળી આવ્યા છે જે તમામ દર્દીઓ વડોદરા ખાતે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે આ રોગના લક્ષણો ધરાવતાં ત્રણ દર્દીઓના શંકાસ્પદ મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં બે બાળકોને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃતક મહિલા પૂનમ મછાર છે જેની ઉંમર 23 વર્ષ છે.

ગોધરા શહેરમાં જીબીએસ રોગના દર્દીઓ મળી આવતા શહેરીજનોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં અલગ અલગ છ ટીમો બનાવીને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં આ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનોમાં રહેતા અને આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓના સેમ્પલ મેળવીને અમદાવાદ ખાતે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ગુલિયન બેરી સિન્ડ્રોમએ બેક્ટેરિયા અને વાયરસ ના લીધે થતો રોગ છે. આ રોગ જેને લાગુ પડે છે તે દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે જેને લઇને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પગમાં અશક્તિ આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં પગમાં લકવો થઈ જાય છે. એક અભ્યાસ પ્રમાણે ઓછા રાંધેલા મરઘીના માસમાંથી પણ જીબીએસ રોગ ના બેક્ટેરિયા મળી આવે છે, જ્યારે એડીસ મચ્છર તેમજ વધુ પડતી ગંદકીમાં પણ આ રોગના બેક્ટેરિયા અને વાયરસ મળી આવે છે.

ગોધરા શહેરમાં હાલમાં મળી આવેલા જીબીએસ રોગના દર્દીઓમાં મોટાભાગના બાળકો અને યુવાનોનો સમાવેશ થાય છે, જેઓની ઉંમર 10 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની સામે આવી છે. આ રોગના નિદાન માટે દર્દીના સ્ટુલ નું સેમ્પલ મેળવીને પરીક્ષણ કરવામાં આવે છે. આ રોગથી બચવા માટે રહેણાંક મકાનો તેમજ વિસ્તારોમાં ગંદકીની નિયમિત સાફ સફાઈ, ચોખ્ખા પાણીનો ભરાવો ન થવા દેવો તેમ જ સંપૂર્ણ રાંધેલો ખોરાક આરોગવો જોઈએ. ગોધરા શહેરમાંથી મળી આવેલા તમામ દર્દીઓ હાલ વડોદરા ખાતે સારવાર અર્થે છે જ્યારે હજુ પણ કેટલાક વધુ દર્દીઓ મળી આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ તેમજ ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં સાફ-સફાઇ, સેનિટેશન, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગોધરા શહેરમાંથી મળી આવેલા ૧૦ જેટલા કેસોમાં મોટાભાગના કેસો ગીચ વસ્તી ધરાવતા સ્લમ વિસ્તારો માંથી મળી આવ્યા છે જેથી જવાબદાર વિભાગ દ્વારા આ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી બને છે.

 

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here