Home સુરેન્દ્રનગર કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં...

કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

128
0

સુરેન્દ્રનગર: 27જાન્યુઆરી


શ્રી એસ.એન. વિદ્યાલય – સુરેન્દ્રનગર ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાઈ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું
કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા આજ રોજ દેશવ્યાપી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રિય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી એસ.એન વિદ્યાલય – સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩’ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ – ૨૦૧૮થી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અઘ્યક્ષસ્થાનેથી આ કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ “પરીક્ષા પે ચર્ચા ૨૦૨૩” કાર્યક્રમનું જીવંત પ્રસારણ શાળાનાં બાળકો તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થઈ જિલ્લાનાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ શૈક્ષણિક સમસ્યાઓનાં નિરાકરણ માટે આપવામાં આવેલ માર્ગદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. તેમણે સંવાદ તેમજ પરીક્ષાના ભયને દૂર રાખી આત્મવિશ્વાસ કેળવવા અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. અલગ-અલગ રાજ્યોનાં વિદ્યાર્થીઓનાં પ્રશ્નોનાં જવાબ આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, માઇક્રો મેનેજમેન્ટ સાથે બધા વિષયોની તૈયારી તથા સ્માર્ટ વર્ક કરવું જોઈએ. તેમણે પ્રતિ સપ્તાહ એક દિવસ ટેકનોલોજી અને ગેજેટ્સથી દૂર રહેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો બોજ વધી રહ્યો છે ત્યારે આ બોજને હળવો કરવા વાલીઓએ પણ આ બાબતને જીવનનો સહજ હિસ્સો બનાવવો જોઈએ. તેમણે કોઇપણ જાતના તણાવ, ચિંતા કે ભય રાખ્યા વિના પરીક્ષા આપવા પર ભાર મૂક્યો હતો. છાત્રોએ તેમની ભાવિ કારકીર્દી પ્રત્યે અત્યારથી જ સજાગ થઇ તૈયારીઓ કરવી જોઈએ તેવો વિચાર પણ વડાપ્રધાનશ્રીએ આપ્યો હતો.


સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧રનાં મળી અંદાજે ૧૬.૪૦ લાખ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના આ પ્રેરણાદાયી સંવાદ અને માર્ગદર્શનનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા સરસ્વતી વંદના રજૂ કરવામાં આવી હતી તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અને વકૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થીને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ, શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્ર મુંજપરા, પરીક્ષા પે ચર્ચાના કન્વીનર જીજ્ઞાબેન પંડ્યા અને સુનીલભાઈ મોટકા તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ, કોર્પોરેટર અશોકસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here