અંબાજી : 12 માર્ચ
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ સરહદી વિસ્તાર નજીક આવેલ હોવા થી અંબાજી માંથી પસાર થતો મુખ્ય સ્ટેટ માર્ગ અંબાજી મંદિર સામે થી પસાર થતા ભારે મોટા વાહનો , યાત્રિક વાહનો માટે નો મુખ્ય માર્ગ બની રહેતા સામાન્ય દિવસો ને બાદ કરતા તહેવારના દિવસો એ માથા ના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે જેના લીધે યાત્રિકો , સ્થાનિકો અને અન્ય રાજ્ય તરફ પ્રયાણ કરતા નાના – મોટા વાહનો ને કલાકો સુધી ટ્રાફિક જામ માં ફસાઈ રહેવાનો વારો આવે છે . જે બાબતે છેલ્લા ઘણા સમય થી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અંબાજી ના અગ્રણીઓ દ્વારા પ્રયત્નો ચાલુ હતા જેમાં આખરે સફળતા મળી છે અને આજ રોજ ₹ ૧૨૪ કરોડ ના કામ ને મંજુરી મળી છે જેમાં, ૫ કી.મી. નો બાય પાસ , ફ્લાય ઓવર , સ્ટેપ બ્રિજ જેવા કામ હાથ ધરાશે.
આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકાસના કાર્યો શરૂ થવાના છે. હાલમાં અંબાજી ખાતે સરકાર દ્વારા વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે તાજેતરમાં ગુજરાતના ગૃહ મંત્રી જ્યારે અંબાજી આવ્યા ત્યારે અંબાજી મંદિરના મીટીંગ હોલમાં અંબાજી શક્તિપીઠ રોડમેપ વિશે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા પાંચ કિલોમીટર બાય પાસ રોડ ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અંબાજીથી આબુ રોડ તરફ જતા વાહનોને ટ્રાફિક સમસ્યા હળવી બનશે.
અંબાજી ખાતે કોટેશ્વર ખાતે પણ વિકાસના કામો શરૂ થયા છે. માંગલ્ય વન ખાતે પણ કામગીરી શરૂ થઈ ગઈ છે. ગબ્બર તળેટી ખાતે પણ લેઝર લાઈટ ની કામગીરી શરૂ થઈ ગઈ છે. અંબાજી મંદિર આસપાસ 75 મીટર નિયમ પ્રમાણે અમલવારી શરૂ થાય તેવા પ્રયાસ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી થઇ રહ્યા છે. આવનારા સમયમાં અંબાજી ઓથોરિટીના નેજા હેઠળ ખૂબ જ ઝડપથી દેશનું નંબર વન શક્તિપીઠ બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

ગજદ્વાર થી મયુરદ્વાર સુધી જ બાયપાસ રોડ બનશે
આબુરોડ માર્ગ પર શીતળા માતાજી મંદિર પાસે આવેલા અંબાજી-ગજદ્વાર-થી ઝરીવાવ-માઇન્સરોડ મયુરદ્વાર પાસે હિંમતનગર તરફ જતા હાઇવે રોડને બાયપાસ રોડ મળશે. સરકાર દ્વારા પાંચ કિલોમીટર બાયપાસ રોડ માટે 124 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.



















