પાટણ : 5 ફેબ્રુઆરી
પાટણની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવમાં પ્રવાસીઓની સુવિધા અને સગવડ વધે તથા રાત્રિ દરમિયાન વાવને રોશની સજ્જ કરી પ્રવાસીઓ માટે રાત્રે પરિસર ખુલ્લુ રાખવા પાટણ સાંસદે કેન્દ્રીય પર્યટન પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

પાટણમાં આવેલી ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ ને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય અને કલા કૃતિ જોઈ અભિભૂત થાય છે ત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી રાણીની વાવમાં વર્ષો પછી વિવિધ અદ્યતન સુવિધાઓ અને સગવડ માટે નવા કોઈ વિકાસના કામો કરવામાં ન આવતા રાણીની વાવ ની છબી વિદેશમાં પર્યટકો સમક્ષ ઝાંખી પડી રહી છે.
જે બાબતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાન મંત્રી કિશન રેડીને રાણીની વાવમાં સુવિધાઓમાં વધારો કરવા તેમજ રાત્રી દરમિયાન રાણીની વાવ પરિસરમાં રોશની કરી પર્યટકો રાત્રે પણ વાવ નિહાળી શકે તે માટે પરિસર ખુલ્લુ મુકવા પત્ર લખી રજૂઆત કરી હતી.
પાટણના સાંસદ ની રજૂઆતને પગલે કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડીજીએ સંબંધિત વિભાગને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી છે સાથે સાથે રાણીની વાવ પરિસરમાં સુવિધાઓ વધારાશે તેવી સાંસ્કૃતિક મંત્રીએ સાંસદને પત્ર લખી હૈયાધારણા આપી છે




















