પાટણ : 17 ફેબ્રુઆરી
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી ફૂડ સેફ્ટી ઑન વ્હિલ્સ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઑફ ઈન્ડિયા દ્વારા ફાળવવામાં આવેલી આ વાનમાં દૂધની બનાવટો તથા તેલની શુદ્ધતા સહિતની ચકાસણી તથા ત્વરિત પ્રાથમિક તપાસ શક્ય બનશે.
આ અંગે વાત કરતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, આજથી પાટણ જિલ્લા માટે શરૂ કરવામાં આવેલી ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન દ્વારા ગમે તે સમયે રેસ્ટોરન્ટ્સ કે કરીયાણાની દુકાન જેવા જિલ્લાના કોઈપણ ખાદ્યના વેપારી એકમોમાં જઈ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે. જો ખાદ્ય સામગ્રીની ચકાસણીમાં કોઈ ભેળસેળ કે ચેડા જોવા મળશે તો વિક્રેતા સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાટણ જિલ્લા માટે ફૂડ સેફ્ટી ઑન વ્હિલ્સ વાન ફાળવવામાં આવી છે. દર મહિને ૧૫ દિવસ માટે પાટણ જિલ્લામાં ફાળવવામાં આવેલી વાનમાં રહેલા TPC મશીન દ્વારા તેલમાં રહેલ ટોટલ પોલર કાઉન્ટ દ્વારા તેલમાં ફ્રાય થતાં વારંવાર નાસ્તામાં તેલમાં રહેલ ટ્રાન્સ ફેરી એસીડ કે જે શરીર માટે નુકશાનકારક છે તેનું ટેસ્ટીંગ કરવામાં આવશે.
વધુમાં ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા પાટણ જિલ્લામાં દૂધ અને દૂધની બનવટોમાં થતી યુરિયા, ડિટરજન્ટ, વેજીટેબલ ફેટ જેવા એડલરૂટની હાજરી તેમજ ફેટ અને સોસિડનોન ફેટ જેવી ભેળસેળની સ્થળ પર જ ચકાસણી કરી શકાશે. સાથે સાથે મરી મસાલામાં કલરની ભેળસેળની પણ પ્રાથમિક દ્રષ્ટિએ ચકાસણી કરી શકાશે. આ ઉપરાંત ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાયસન્સ કે રજીસ્ટ્રેશન અને ભેળસેળ તેમજ કાયદાકીય બાબતોથી પાટણ જિલ્લાની જનતાને માહિતગાર કરી લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે દિશામાં સઘન તપાસણી કરી શકાશે.