Home પાટણ પાટણના પ્રગતિ મેદાન ખાતે આગામી તા.22 મેના રોજ યોજાશે વીરાંજલી કાર્યક્રમ

પાટણના પ્રગતિ મેદાન ખાતે આગામી તા.22 મેના રોજ યોજાશે વીરાંજલી કાર્યક્રમ

121
0

પાટણ: 18 મે


રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ પાટણમાં યોજાશે. પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે યોજાનાર આ મલ્ટીમીડિયા શૉ થકી વિખ્યાત સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના 100થી વધુ કલાકારો દ્વારા વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે.

આ અંગે વાત કરતાં સાંઈરામ દવેએ જણાવ્યું કે, પાટણની ઐતિહાસિક ધરા પરથી વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. જે વાતનો મને અનહદ આનંદ છે. આ માત્ર કાર્યક્રમ નહીં પણ વતનપ્રેમની વેક્સિનનો બુસ્ટર ડૉઝ છે. ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે દેશની સેવા માટે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવશે. અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા દેશભક્તિની ભાવના જાગૃત કરતા આ કાર્યક્રમને નિહાળવા જિલ્લા વહિવટી તંત્ર વતી સૌ પ્રબુદ્ધ નગરજનોને નિમંત્રણ પાઠવું છું.

કાર્યક્રમ અંગે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજીત વીરાંજલી કાર્યક્રમ થકી સ્વાતંત્ર્યની ચળવળની સમગ્ર યાત્રાને નિહાળી નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર થાય તે માટે મહત્તમ નાગરિકો તેમાં જોડાશે તેવી અપેક્ષા છે.
પાટણના પ્રગતિ મેદાન ખાતે આગામી તા.22 મેના રોજ રાત્રે 08.00થી 10.00 કલાક દરમ્યાન ડાન્સ અને ડ્રામા સાથે દેશભક્તિના ગુજરાતના સૌપ્રથમ મેગા મ્યુઝીકલ કાર્યક્રમમાં ક્રાંતિવીરોની શહાદતને નમન કરવા સમગ્ર જિલ્લાના નાગરિકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here