Home ગોધરા પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

154
0
ગોધરા : 8 માર્ચ

રાજ્યમાં સાહસિક રમતો અને રમત-ગમતની સંસ્કૃતિનો વધુ વિકાસ કરવાના સરકારના પ્રયાસ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી અને જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા સહિતનાં મહાનુભાવોએ પાવાગઢનાં માંચી ખાતેથી રાજ્યભરમાંથી ભાગ લેવા આવેલા 225 જેટલા દોડવીરોને લીલીઝંડી બતાવી ફલેગઓફ કરાવ્યું હતું. ઓપન વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધાઓમાં 164 ભાઈઓ અને 56 બહેનો મળી કુલ 220 સ્પર્ધકો ભાગ લીધો હતો. જેમાં સિનિયર ભાઈઓમાં દાહોદ જિલ્લાનાં અમલીયાર વિક્રમભાઈ 29.17 સેકન્ડનાં સમય સાથે અને સિનિયર બહેનોમાં પંચમહાલનાં હજારીયા દક્ષાબેન 39.07 સેકન્ડનાં સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા. પંચમહાલ જિલ્લાનાં જ બારીયા જિગરભાઈ 29.33 સેકન્ડ સાથે દ્વિતીય અને રાઠવા અર્જુનસિંહભાઈ 30.46 સેકન્ડનાં સમય સાથે તૃતીય ક્રમે રહ્યા હતા. જ્યારે સિનિયર બહેનોમાં પંચમહાલ જિલ્લાનાં રાઠવા કૈલાશબેન 39.38 સેકન્ડનાં સમય સાથે દ્વિતીય તેમજ રાઠવા અલ્કાબેન 41.02 સેકન્ડનાં સમય સાથે તૃતીય સ્થાને રહ્યા હતા. પ્રથમ ક્રમે રહેલા વિજેતાને રૂ. 12,500/- દ્વિતીય ક્રમે રહેલા ખેલાડીને રૂ. 10,000/- અને તૃતીય ક્રમે રહેલા ખેલાડીને રૂ.7,500/-નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. પ્રથમ દસ નંબરે રહેનારા તમામ સ્પર્ધકોને રૂ.2500/- અને વધુ રકમનાં રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા.


આ પ્રસંગે યોજાયેલ સમારંભનાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સાહસિક રમતો યુવાનોનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન સ્થાનિક વિસ્તારમાં સાહસિક રમતોની સંસ્કૃતિને એક નવો વેગ આપશે તેમ જણાવતા પ્રમુખશ્રીએ આ સ્પર્ધા પંચમહાલની મુલાકાત લેવા માટે એક નવીન આકર્ષણ બની રહેશે અને પાવાગઢ પર્વતનો સાહસિક રમતો માટે પણ એક મહત્વનાં કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા રમતગમત અધિકારીશ્રી પ્રકાશ કલાસવાએ જણાવ્યું હતું કે એડવેન્ચર સ્પોર્ટસને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલ આ સ્પર્ધા સ્થાનિક વિસ્તારના યુવાનોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઘરઆંગણે ભાગ લેવાનો અવસર અને અન્ય જિલ્લાના સ્પર્ધકો માટે એક નવીન પડકાર પૂરો પાડનારી બની રહી છે.

એકથી દસ ક્રમે વિજેતા થનાર તમામ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવે છે, જેથી તેમને પ્રોત્સાહન મળી રહે. વર્ષ 2019-20માં પ્રથમ પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછીનાં બીજા વર્ષે વર્ષ 2020-21માં દ્વિતીય સંસ્કરણ કોરોના મહામારીનાં કારણે મોકૂફ રહ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃતિઓનો વિકાસ થાય તેવા આશયથી વર્ષ 2019-20થી ગુજરાતનાં પાંચ પર્વતો પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here