ટામેટાનો ભાવ આસમાને ગયા બાદ ફરી એકવાર ટામેટાના ભાવ ગગડી પડ્યા છે. જેથી ટામેટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 200 રૂપિયે કિલોના ભાવે મળતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપિએ કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.
આમ તો શાકભાજીના ભાવ વધે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાતા હોય છે. પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે જતા હોય છે. ત્યારે ખેડૂતોના બજેટ ખોરવાતા હોય છે. આવું જ ટામેટા પકવતા ખેડૂતોના સાથે થયું છે. થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે માત્ર બે રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે ટામેટાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હિંમતનગર સહિત જિલ્લામાં કેટલાક ભાગોમાં ટામેટાની ખેતી ખેડૂતોએ કરી હતી. ગત જુન- જુલાઈ માસમાં ખેડૂતોએ ટામેટાના મોંઘા ભાવના રોપા લાવી વાવેતર કર્યું હતું. ત્યારબાદ ટામેટાના છોડ ઉછેરવા માટે માંડવા બનાવ્યા અને બાદમાં વરસાદ વરસતા ટામેટાના છોડ મુર્જાયા હતા. જેમાં પણ ખેડૂતોએ ખર્ચ અને માવજત કરી ટામેટા ઉત્પાદન કર્યું. પરંતુ ઉત્પાદન સમયે ભાવો ના મળતા હાલ તો ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હિંમતનગરના નવાનગર ગામ ખાતે ખેડૂતોએ 200 વીઘા કરતા વધુ વિસ્તારમાં ટામેટાનું વાવેતર કર્યું છે એક વીઘા દીઠ અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો ટામેટામાં ખર્ચ કર્યો છે. ત્યારે હાલ ટામેટા ઉત્પાદનનું સમય છે. ત્યારે ઉત્પાદન તો મળે છે. પરંતુ બજાર ભાવ ના મળવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ખેડૂતોએ વિઘાદીઠ એક લાખ કરતા પણ વધુ ખર્ચ કર્યો છે. જેની સામે ખેડૂતોને પ્રતિ કિલોએ 2 રૂપિયાના ભાવે ટામેટા વેચાઈ ગયા છે. જોકે હાલ તો ખેડૂતો ટામેટાના છોડ પરથી ટામેટાં વીણવાનોં ખર્ચ પણ ₹ 300 થતોં હોય છે. એટલું જ નહીં પરંતુ ખેતર થી બજાર સુધી ટામેટા લઈ જવામાં પણ એક મણના પાંચ રૂપિયાથી લઈ 20 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થતો હોય છે. જેની સામે ખેડૂતો હાલ તો જમીન પર ફેંકી દેવા તેમજ પશુઓને ફેંકી દેવા માટે મજબુર બન્યા છે.