સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ
જિલ્લા માહિતી કચેરીના 3 કર્મવીરો, દૂરદર્શનનાં પત્રકારશ્રીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરાયુ
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવવામાં આવી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વતંત્રતા દિવસની સાયલા ખાતે થયેલી ઉજવણી નિમિત્તે જિલ્લાનાં 75 અધિકારી-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી આ 75 કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પાટડી પ્રાંત અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીશ્રી એમ. પી. પટેલ સહિતનાં અધિકારીઓ-કર્મચારીઓને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. આ ઉપરાંત, ધ્રાંગધ્રા આર્મી ડિવિઝનના અધિકારી/સૈન્ય જવાનોને જિલ્લાની વિવિધ બચાવ કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવતા આ જ પ્રમાણે સારી કામગીરી કરતા રહેવા અને અન્યોને માટે પ્રેરણારૂપ બનવા જણાવ્યું હતું.
સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત સારી કામગીરી બદલ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીનાં કર્મચારીઓ- મીડિયાકર્મીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા
આ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત ઉત્તમ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશશ્રી શિવરામ આલ, ઓપરેટર/ કેમેરામેન શ્રી જી.એમ. ટોળીયા, ફોટોગ્રાફરશ્રી અજય મહેતા તેમજ દૂરદર્શનના રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદીને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.