આણંદ જિલ્લાના વિદ્યાનગરના મહાદેવ વિસ્તારમાં એલીકોન ગાર્ડનમાં વર્ષો જૂનું ઘટાદાર વૃક્ષનું રવિવારે ફુંકાયેલા વાવાઝોડામાં એક ડાળ પડી ગયું હતું. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા જૂના વૃક્ષને હટાવવા માટે કોઇ કામગીરી કરાઇ ન હતી. આમ પાલિકાની બેદરકારીને કારણે મંગળવાર સાંજના સમયે વૃક્ષની નીચે રમી રહેલા 4 બાળકો પર વૃક્ષ ધરાસાયી થતાં બાળકો દબાઇ ગયા હતા. જેમાંથી ત્રણ બાળકોને સ્થાનિકો દ્વારા ડાળીઓ હટાવીને બચાવી લેવાયા હતા. જ્યારે એક બાળકીનો હાથ ઘટાદાર ડાળખી નીચે દબાઇ જતાં આણંદ વિદ્યાનગર ફાયરબ્રિગેડે કટર વડે ડાળખી કાપીને એક કલાકની જહેમત બાદ કાઢી હતી.
બનાવને પગલે બાળકીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિદ્યાનગર મહાદેવ વિસ્તારમાં એલીકોન બાગમાં દરરોજ નગરજનો પોતાના બાળકોને લઇને ફરવા જાય છે. ત્યારે મંગળવારે બાગમાં બાળકો ઝાડ નીચે રમી રહ્યાં હતા. ત્યારે અચાનક જ વડનું વૃક્ષ ધડાકાભેર તૂટી પડ્યું હતું.
રવિવારે વાવાઝોડને પગલે વડ નમી ગયો હતો. તેમજ એક ડાળખી પડી ગઇ હતી. તેમ છતાં પાલિકાએ તેને ગંભીરતાથી ન લઇ વૃક્ષને હટાવ્યું ન હતું. તેમજ શહેરમાં વર્ષો જૂના વૃક્ષો વધુ છે. પાલિકાએ તાત્કાલિક આવા વૃક્ષો હટાવી લેવા જોઇએ, નહીં તો ભવિષ્યમાં મોટી હોનારત બનાવવાની સંભાવના હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.