સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
લીંબડી માળીવાડમાં રહેતા યુવાનના મોતના સમાચાર સાંભળી પટેલ સમાજ અને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. યુવાને આપઘાત કર્યો કે તેની હત્યા કરવામાં આવી તે કારણ જાણવા મળ્યું નથી. યુવાનના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
લીંબડી માળીવાડ વિસ્તારમાં રહેતા અને સર.જે.હાઈસ્કૂલ નજીક ઝેરોક્ષની દુકાન ધરાવતા પ્રહાલભાઈ ભગવાનભાઈ છત્રોલા(પટેલ)નો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમના રૂમમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોએ પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતરી લીંબડીની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા.
પ્રહલાદભાઈ પટેલે આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી? તે કારણ હજુ અકબંધ છે. આત્મહત્યા કરી તો ક્યા કારણોસર? આત્મહત્યા કરવા પાછળ શું મજબૂરી હશે? પરિવારમાં ઘર્ષણ કે કોઈના દબાણવશ આત્મહત્યા કરી? હત્યા કરાઈ હોય તો શેના માટે હત્યા કરાઈ? તેની પાછળ કોણ-કોણ જવાબદાર છે? સહિતના અનેક વણઉકેલા સવાલો ઊભા થયા છે. પીએમ રિપોર્ટ પછી હત્યા કરાઈ છે કે તેમને આત્મહત્યા કરી તે જાણી શકાશે. પોલીસે પ્રહલાદ પટેલના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી દીધી છે.