પાટણ : 24 ઓગસ્ટ
ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમનું પાણી નહેર મારફતે પાટણના સરસ્વતી જળાશયમા ઠાલવતા ડેમ ઓવર ફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી 300 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા સૂકી ભઠ્ઠ નદી જીવંત બની છે . સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતા નદીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા .
ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ તોકાની બેટિંગ કરતાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે . ઉપર વાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવર ફલો થયો છે . ડેમનું પાણી વ્યર્થ ન જાય તે માટે સરકાર દ્વારા ઉત્તર ગુજરાતની જમીનોમાં પાણી ના સ્તર ઊંચા લાવવા માટે આ વિસ્તારોમાં આવેલ જળાશયોમાં નર્મદાના નીર વહેતા કરવામાં આવ્યા છે ત્યારે સુજલમ સુફલામ યોજના અંતર્ગત પાટણની કમલીવાડા નહેર મારફતે સરસ્વતી જળાશયમાં 400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમની સપાટી 277 ઓવર ફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી 300 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
પાણીનો પ્રવાહ નદીના પટમાં ઠલવાતા સૂકી ભઠ્ઠ ભાસતી સરસ્વતી નદી પુનઃ જીવંત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેરે જણાવ્યું હતું કે સરસ્વતી જળાશયમાં 400 ની આવક સામે નદીમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નદી કાંઠે આવેલા 23 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે . નદીમાં એક મહિના સુધી સતત પાણી છોડવામાં આવશે જેનાથી આસપાસની જમીનોમાં પાણીના સ્તર ઊંચા આવશે જેનો લાભ ખેડતોને મળશે.
પાટણ સંસદ ભરતસિંહ ડાભીએ સરસ્વતી ડેમની મુલાકાત લીધી હતી અને અધિકારી સાથે પાણીની આવક અને જાવક અંગેની જાણકારી મેળવી હતી.તેઓએ જણાવ્યું હતું કે નદીમાં પાણી છોડવાથી નદી સમતલ થશે જળ સ્તર ઊંચા આવશે ખેડુતોને લાભ થશે ચાલુ સીઝનમાં પણ સરકાર ખેડુતોને સિંચાઈ માટે પાણી આપશે .