સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ
બે જીવિત ઘેટાંના પણ બ્લડ સીરમ, સ્કિન સ્ક્રેપિંગ અને નસલ ડીસ્ચાર્જના સેમ્પલ પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા
પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. આથી પશુ વિભાગની ટીમના હિંમતપુરામાં ધામા નાંખ્યા હતા. જ્યારે બુધવારે હિંમતપુરામાં શંકાસ્પદ લમ્પી વાયરસથી સાત ઘેટાંના મોત નિપજ્યાં હતા. પશુવિભાગની ટીમ દ્વારા મૃત ઘેટાનું પોસ્ટ મોર્ટમ લિવર અને કીડની અને હાર્ટના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા છે. જ્યારે બે જીવિત ઘેટાંના પણ બ્લડ સીરમ, સ્કિન સ્ક્રેપિંગ અને નસલ ડીસ્ચાર્જના સેમ્પલ પણ પુના લેબોરેટરીમાં મોકલાયા છે.
પાટડીના રણકાંઠા વિસ્તારમાં અબોલ ગાયોમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી. ત્યાં પાટડીના હિંમતપુરામાં લાલાભાઇ સતાભાઇ ભરવાડના 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ ઘેટાઓમાં ગાયોની જેમ ઘેટાંઓમાં એક પછી એક ચામઠા અને ગુમડા જોવા મળતા ઘેટાં માલિકોમાં ભયની લાગણી ફેલાવા પામી હતી.
આથી સુરેન્દ્રનગર પશુ રોગ અન્વેષણ શાખાના મદદનીશ પશુપાલન નિયામક ડો. મનીષ સબાપરા, બજાણા વેટરનિટી ઓફિસર ડો.એસ.પી.પટેલ, ઝીંઝુવાડા પશુધન નિરીક્ષક આર.એન.પરમાર અને ખારાઘોડા પશુધન નિરીક્ષક અરવિંદભાઇ ઠાકોર સહિત પશુપાલન વિભાગનો સ્ટાફ તાકીદે હિંમતપુરા દોડી ગયા હતા. પશુવિભાગની ટીમ દ્વારા મૃત ઘેટાનું પોસ્ટ મોર્ટમ લિવર અને કીડની અને હાર્ટના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા છે. જ્યારે બે જીવિત ઘેટાંના પણ બ્લડ સીરમ, સ્કિન સ્ક્રેપિંગ અને નસલ ડીસ્ચાર્જના સેમ્પલ પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા છે. જ્યારે બુધવારે હિંમતપુરામાં શંકાસ્પદ લમ્પી વાયરસથી સાત ઘેટાંના મોત નિપજતા પશુપાલકો ફફડી ઉઠ્યાં હતા.
હિમતપુરમાં ટપોટપ સાતથી આઠ ઘેટાં મોતને ભેટ્યા છે : મશરૂભાઇ ભરવાડ ( પશુપાલક, નારણપુરા )
છેલ્લા બે દિવસથી ઘેટાંમાં લમ્પી વાયરસ જેવા રોગે દેખા દીધા અસંખ્ય ઘેટાંઓ આ રોગના ઝપટમાં આવી ગયા છે. બે દિવસમાં હિંમતપુરામાં ટપોટપ સાતથી આઠ ઘેટાં મોતને ભેટ્યા છે. અને પશુવિભાગની ટીમ પણ તાકીદે હિંમતપુરા ખાતે આવી ઘેટાંઓની સારવાર હાથ ધરી છે.
પાંચ કિમીના રેડીયસમાં વેક્સિનેશન માટે ઉચ્ચસ્તરેથી વેક્સિન મંગાવવામાં આવી છે : ડો. એસ.પી.પટેલ ( વેટરનિટી ઓફિસર, બજાણા )
હિંમતપુરામાં ઘેટામાં લમ્પી વાયરસ જેવો શીપપોક્સ રોગે દેખા દીધા બાદ પાટડી, નારણપુરા અને હિંમતપુરા ગામના પશુપાલકોને ઘેટાં માટે ડીવર્મીંગ દવા પહોંચાડવામાં આવી છે. પાંચ કિમીના રેડીયસમાં રીંગ વેક્સિનેશન માટે ઉચ્ચસ્તરેથી વેક્સિન મંગાવવામાં આવી છે.