સુરેન્દ્રનગર: 31 ઓગસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ખાતે આજથી વિશ્વવિખ્યાત તરણેતર મેળાનો શુભારંભ થયો છે. આ પ્રસંગે કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણાના વરદહસ્તે, જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં માહિતી વિભાગનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી કેયુર સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કિરીટસિંહ રાણા અને શ્રી દેવાભાઈ માલમે ઉપસ્થિત મહાનુભાવો સાથે સમગ્ર પ્રદર્શનની રસપૂર્વક મુલાકાત લઈ પ્રદર્શિત માહિતી, વિષયવસ્તુ નિહાળ્યા હતા. કેબિનેટ મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થીઓની પ્રદર્શિત તસવીરો અને માહિતીમાં વિશેષ રસ દાખવતા આ પ્રકારે યોજનાઓનો પ્રસાર કરવાથી અન્ય સંભવિત લાભાર્થીઓ સુધી પહોંચી શકાય છે તેમ જણાવ્યું હતું. મંત્રી શ્રી કિરીટસિંહ રાણા અને મંત્રીશ્રી દેવાભાઈ માલમે પણ ઉત્સાહપૂર્વક સેલ્ફી ઝોનમાં ફોટોઝ પડાવ્યા હતા.
તરણેતરના લોકમેળામાં માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા મનોરંજન સાથે માહિતી આપતા આ પ્રદર્શનની મેળામાં મહાલતા હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. લોકો જેમાં રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની ગાથા નિહાળે છે. ડોમમાં આવેલ સેલ્ફી ઝોનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈફ સાઈઝ કટ આઉટ સાથે સેલ્ફી લેવા, ફોટો લેવા ધસારો જોવા મળી રહ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ પણ મેળા મધ્યે જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના આ ગૌરવપૂર્ણ પ્રવાસન સ્થળ નિહાળીને લોકો આનંદ પામી રહ્યા છે. રોબોટિક ગેલેરીના સેલ્ફી ઝોને બાળકો અને મોટેરાઓમાં સમાનરૂપે આકર્ષણ જમાવી રહ્યું છે.
વિકાસની ‘ડબલ એન્જીન સરકાર, સપના સાકાર’ થીમ પર બનેલા આ પ્રદર્શનમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ લોકો મેળવી રહ્યા છે. મનોરંજન સાથે માહિતી આપતો આ સ્ટોલ મેળાના લાખો મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. આ સ્ટોલને વધુમાં વધુ લોકો નિહાળે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.