કચ્છ: 25 મે
પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચું ઘર ધરાવતાં હોય તેમને આવાસ બાંધકામની નાણાકીય સહાય પૂરી પડતી યોજના છે.આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ આપવામાં આવતી સહાય લાભાર્થીના બેંક ખાતામાં ૩ હપ્તામાં અનુક્રમે રૂ.૩૦૦૦૦, રૂ.૫૦૦૦૦ અને રૂ.૪૦૦૦૦ આપવામાં આવે છે.
તેમજ જે લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પ્લોટ નથી, તેમને ૧૦૦ ચો.વાર નો આવાસ બાંધકામ માટે પ્લોટ પણ ફાળવવામાં આવે છે. લાભાર્થીને બાથરૂમ બાંધકામ સહાય હેઠળ બાથરૂમ બનાવવા માટે રૂ.૫,૦૦૦/- અલગથી આપવામાં આવે છે. તદુપરાંત લાભાર્થીને મનરેગા યોજના અંતર્ગત ૯૦ દિવસ સુધીની રોજગારી આપવામાં આવે છે. જે વધુમાં વધુ ૯૦ દિવસ પ્રતિદિન રૂ.૨૩૯/- લેખે કુલ રકમ રૂ.૨૧,૫૧૦/- કામના પ્રમાણમાં મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ મંજુર થયેલ આવાસનું બાંધકામ જો લાભાર્થી ૬ માસમાં પૂર્ણ કરે તો તેમને અતિરિક્ત/પ્રોત્સાહક સહાય સ્વરૂપે વધુ રૂ.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કચ્છ જીલ્લાને વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં કુલ ૫૨૮૮ નો લક્ષ્યાંક મળેલ છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૪૬૫૫ લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે મંજુરી આપવામાં આવેલ છે. તેમજ ૩૨૬૨ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે. તેમજ કચ્છ જીલ્લામાં અત્યાર સુધી ૨૩૨ લાભાર્થીઓને ૬ માસમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરવા બદલ પ્રોત્સાહક સહાય આપવામાં આવેલ છે.