Home સુરેન્દ્રનગર ૭૩મો વનમહોત્સવ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં ૨૨માં...

૭૩મો વનમહોત્સવ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં ૨૨માં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ

128
0

સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
• કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી
• વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો
• છોડમાં રણછોડની ભાવના લોકોમાં વન મહોત્સવ થકી વધુ પ્રબળ બની

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૩મા વનમહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના ‘સાંસ્કૃતિક વન – વટેશ્વર વન’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને આયોજન થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને વધુ સારી રીતે અને તેજગતિથી આગળ ધપાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રના વિસ્તારમાં વધારો થયો છે. વન મહોત્સવ થકી છેલ્લા બે દાયકામાં વન્ય વિસ્તારની બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા તેની સામે આજે ૫૪ ટકાના વધારા સાથે ૩૯.૫૭ કરોડ વૃક્ષો છે.


તેમણે કહ્યું કે, 2૦૦૩માં જ્યાં ૧૪ વૃક્ષ પ્રતિ હેક્ટર હતા ત્યારે આજે પ્રતિ હેક્ટર ૨૫ વૃક્ષ છે. જેથી સમગ્ર ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. છોડમાં રણછોડની ભાવના લોકોમાં વનમહોત્સવથી વધુ પ્રબળ બની છે.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં લોકોને ઓક્સિજનની જરૂરીયાતનો અનુભવ થયો છે. કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી છે. સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૭૫ સ્થળોએ નમો વડ વન સ્થાપવાનું આયોજન કર્યું છે. જેની આજે અહીંથી શરૂઆત પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ લોકોને પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછુ એક ઝાડનું વાવેતર તેમજ ઉછેર કરવા તેમજ સુરેન્દ્રનગર તેમજ રાજ્યની જનતાને વટેશ્વર વનની મુલાકાત લઇ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ થાય, હ્યદયમાં રાષ્ટ્ર ભાવના જાગૃત રહે તે માટે તમામ લોકોને પોતાના ઘર, ઓફિસ કે કામકાજના સ્થળે તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.
કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળ વિભાગના રાજ્ય મંત્રી શ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, ૫ હેકટરમાં પથરાયેલા વટેશ્વર વનમાં ૩.૫ હેક્ટરમાં આયુષ મંત્રાયલ દ્વારા ઔષધિય રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આયુર્વેદએ ભગવાને આપેલ વિજ્ઞાન છે. ઋષિ મુનિઓએ ઔષધિઓના જતનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
તેમણે ઉમેર્યું કે, કેટલાક રોપાને ઋષિમુનિઓનાં નામ પણ આપવામાં આવ્યા છે. આયુષ મંત્રયાલ દ્વારા નમામી ગંગે પ્રોજેક્ટ અંતર્ગત પણ જડીબુટ્ટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષો તથા ઔષધિઓના જતન માટેનો આપણો વારસો અવિરત જળવાઈ રહે તેમજ નવી પેઢીના બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જાગે તે માટે ‘પ્રોફેસર આયુષ્માન’નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવનો દિવસ છે કારણ કે જિલ્લાને ભક્તિ વન બાદ દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. આ વનનો લાભ જિલ્લાના નાગરિકોને લેવા જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ આ વન મહોત્સવ થકી સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૦૪થી વન મહોત્સવ ઉજવવાની હાકલ કરી હતી ત્યારથી લઈને આજ દિન સુધી આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. આપણા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે અત્યાર સુધી ૨૨ વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ વૃક્ષોના મહાત્મ્ય અંગે તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, જીવનનો શ્રૃંગાર છે વૃક્ષો, જીવનનો આધાર છે વૃક્ષો, પ્રકૃતિનો નયનરમ્ય વારસો છે વૃક્ષો. આવા અમૂલ્ય વૃક્ષોને સાચવીએ તથા પર્યાવરણનું જતન કરીએ.


અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વટેશ્વર વન’ રાજ્યનું ૨૨મું અને સુરેન્દ્રનગરનું બીજુ સાંસ્કૃતિક વન છે. ભગવાન વડવાળાનાં નામ ઉપરથી જેનું નામકરણ થયું છે, તેવું આ વન દૂધરેજ કેનાલ સાઈટ પર ૫ હેક્ટર જેટલા વિસ્તારમાં ૭૩ હજારથી વધુ છોડવાઓથી આકાર પામ્યું છે. ૧૦ કરોડથી વધુનાં ખર્ચે આયુર્વેદ અને યોગની થીમ પર આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં વનસ્પતિઓ અને તેમનાં ઔષધીય ગુણો ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કેળવાય તે હેતુથી ૩૩ જેટલી એમ્નેટીઝ ઉભી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર-ઝાલાવાડ પ્રદેશનાં ઈતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિનાં વિવિધ પાસાઓ પ્રતિબિંબિત થાય તે રીતે રજવાડી સ્થાપત્યકલા, લાકડા અને કુદરતી પથ્થરોનાં ઉપયોગ સાથે વટેશ્વર વનની રચના કરવામાં આવી છે. સમગ્ર વન આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોની રચના કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના યુડીપી-૮૮ અને આગવી ઓળખ યોજના અન્વયે અંદાજિત રૂપિયા ૯૯૯.૭૭ લાખના આર્ટસ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ તરફ રિવરફ્રન્ટના કામનું ઈ-ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વઢવાણના ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઇ સાબરિયા, વડવાળા દેવસ્થાનના મહંત શ્રી કનીરામદાસ બાપુ, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી રામકુમાર, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ વન વિભાગના યુ. ડી. સિંઘ,
સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકશ્રી ધવલ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બબુબેન પાંચાણી, નગરપાલિકા પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વેશ્રી શંકરભાઇ વેગડ, વર્ષાબેન દોશી, બાબુભાઇ દેસાઇ, ધનરાજ કૈલા, અનિરુદ્ધસિંહ પઢિયાર, શંકરભાઈ દલવાડી, જગદીશભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here