પાટણ જિલ્લાનો સાતલપુર નેશનલ હાઈવે માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ દિનપ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટનાઓ આ નેશનલ હાઈવે માર્ગો પર સર્જાતી રહી છે. ગતરોજ લોડીંગ ટેલરોના ત્રિપલ અકસ્માતની ઘટના હજી ભૂલાઈ નથી ત્યાં શુક્રવારની સવારે નેશનલ હાઈવે પર અકસ્માત ગ્રસ્ત હાઈવે ઉપર પડેલ લોડીંગ વાહન સાથે લકઝરી ટકરાતા ૨૫ જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
આ અકસ્માતની મળતી હકીકત મુજબ રાજસ્થાનથી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે ગતરોજ આ માગૅ પર સજૉયેલા ત્રિપલ અકસ્માતમાં હાઈવે માર્ગ પર જૈસે થે ની હાલતમાં પડેલા અકસ્માત ગ્રસ્ત વાહન સાથે લકઝરી ધડાકાભેર અથડાતા ટ્રાવેલ્સ માં બેઠેલા મુસાફરો પૈકી ૨૫ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તો લક્ઝરી બસનો ચાલક આ અકસ્માત મા ફસાઈ જતા તેને ટ્રાવેલ્સ ના કાચ ફોડીને મહામુસીબતે બહાર કાઢી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તો પૈકી ચાર ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે
સાતલપુર નેશનલ હાઈવે ૨૭ ઉપર બનેલા આ માર્ગ અકસ્માતની ઘટનાને લઇને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી ટ્રાફિક નિયંત્રણમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સાતલપુર નેશનલ હાઈવે પર વારંવાર સર્જાતા માર્ગ અકસ્માતનાં બનાવ બાદ અકસ્માત ગ્રસ્ત વાહનોને તાત્કાલિક ધોરણે માર્ગ પરથી હટાવવામાં નહીં આવતા આકસ્મિક અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા હાઇવે પર સજૉતા અકસ્માતોને લઈ અકસ્માત ગ્રસ્ત વાહનોને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દૂર કરી આવા અકસ્માતોના બનાવ બનતા અટકાવવા વાહન ચાલકોમાં માંગ પ્રબળ બનવા પામી છે.