ચાલુ સિઝનમાં અનેક તહેવાર , મેળાઓ આવી ગયા છે. ત્યારે શહેરમાં ગંદકી એ મોટી ગંભીર સમસ્યા છે. મેળા કે તહેવાર દરમિયાન શહેરમાં મોટા પ્રમાણમાં કચરો એકઠો થયો હતો. ત્યારે સ્વચ્છતા જાળવવા પ્રજા અને તમામ સેવાકીય સંસ્થાઓ મેદાને આવી છે. અને એકજૂઠ થઇ સૌએ કચરાનો નિકાલ કરવાની સરાહનીય કામગીરી કરી છે.
વાત કરીએ તો સિહોરની શાન ગણાતા એવા પૌરાણિક બ્રહ્મકુંડમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હતું. ત્યારે બ્રહ્મકુંડમાં ફેલાયેલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સેવાભાવી સંસ્થા અને જાગૃત નાગરિકો દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં શહેરમાં વાર-તહેવારને લઇ પુષ્કળ પ્રમાણમાં એકઠો થયેલ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
બ્રહ્મકુંડ સિહોરવાસીઓની શાન છે. ત્યારે તેમાં તહેવારોમાં લોકો દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો. જેથી બ્રહ્મકુંડમાં ઘન કચરો વધારે પ્રમાણમાં એકઠો થયો હોવાથી અમાસ મંડળના લોકો તેમજ જાગૃત નાગરિકો , પુરાતન વિભાગના કર્મચારી દ્વારા ભારે જહેમત ઉઠાવી સાફ-સફાઇ કરવામાં આવી હતી. તેમજ અમાસ મંડળ દ્વારા લોકોને અપીલ કરાઇ કે બ્રહ્મકુંડમાં કચરો નાખતા અટકો અને અન્ય લોકોને પણ અટકાવો. આસ્થાની સાથે-સાથે લોકો સ્વચ્છતા જાળવે તે પણ અગત્યનું હોય છે. હાલ આ બ્રહ્મકુંડ પુરાતન વિભાગ હસ્તક છે. હાલમાં અમાસ મંડળ બ્રહ્મકુંડ પ્રત્યે વિશેષ કાળજી દાખવે છે. બ્રહ્મકુંડની ચોખ્ખાઇ જળવાઇ રહે તે માટે સતત સતર્ક પણ રહે છે.




















