Home Other ગુજરાત પર ત્રાટકશે બિપરજોય વાવાઝોડું …. જખૌ નજીક થઈ શકે લેન્ડફોલ…

ગુજરાત પર ત્રાટકશે બિપરજોય વાવાઝોડું …. જખૌ નજીક થઈ શકે લેન્ડફોલ…

93
0

ગુજરાત પર 15 જૂને ત્રાટકવા જઈ રહેલાં અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજોયની અસર માટે તૈયાર છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાને અસર કરતું આ ચોથુ મોટું ચક્રવાત છે. 2019માં ચક્રવાત વાયુએ રાજ્યમાં લેન્ડફોલ કર્યુ હતુ અને ત્યારબાદ 2020માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ. તો 2021માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને ભયંકર તારાજી સર્જાઈ હતી. આ પહેલાં રાજ્યએ 1998થી શરુ કરીને 20 વર્ષોમાં ચાર મોટા ચક્રવાતનો અનુભવ કર્યો હતો. એ સમયે સુપર સાયક્લોન કંડલામાં ત્રાટક્યું હતું અને 2018 સુધી માનવ જીવન અને સંપતિને અભૂતપૂર્વ નુકસાન થયું હતું. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જળવાયુ પરિવર્તને ગુજરાતને ચક્રવાત માટે સંવેદનશીલ બનાવી દીધું છે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અરબી સમુદ્રના પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોમાં વધારે થવા પાછળના ઘણા કારણો પૈકી આબોહવા પરિવર્તન મુખ્ય છે. હવામાન વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, લક્ષદ્વીપ ટાપુઓની આસપાસના ચક્રવાતના મૂળથી લઈને ગુજરાત સુધીની ફનલ આકારની દરિયાકાંઠાની રેખા એ ચક્રવાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાનું એક કારણ છે. ભવિષ્યમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં સરેરાશ સપાટીના દરિયાઈ તાપમાનમાં વધારાને કારણે રાજ્ય વધુ સંખ્યામાં ચક્રવાતનો અનુભવ કરી શકે છે.

સોમવારે રાજ્યના તંત્રએ ભલે બિપોરજોય માટે યુદ્ધસ્તરે તૈયારીઓ શરુ કરી દીધી હોય છતાં, હવમાન વિભાગના અધિકારીઓ દ્વારા તાજા અંદાજે સૂચવ્યું હતું કે, કચ્છ-પાકિસ્તાન સરહદ વિસ્તારના અગાઉના અંદાજોની તુલાનામાં કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થઈ શકે છે. જે મંગળવાર સુધીમાં સ્પષ્ટ થશે. સોમવારે સાંજ સુધીમાં ચક્રવાત પોરબંદરના દરિયાકાંઠાથી 300 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું. આ દરમિયાન PM મોદીએ રાજ્ય સરકાર સાથે ગુજરાતના ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 12-12 ટીમો તૈનાત છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 24 હજાર બોટને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવી છે. શાળાઓમાં શેલ્ટર હોમ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે અને સરકાર દ્વારા સંચાલિત સુવિધાઓમાં ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. પહેલાં તબક્કામાં દરિયાકાંઠાની 5 કિમીની આસપાસ વિસ્તારમાં રહેતાં લોકને શિફ્ટ કરવામાં આવશે. ટૂંક સમયમાં 5-10 કિમી વચ્ચે રહેતાં લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવશે. માંડવી અને જખૌ વચ્ચે લેન્ડફોલ માટે સંભવિત સ્થળ હોવાના કારણે આખો વિસ્તાર ખાલી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here