પાટણ : 11 મે
પાટણ વિકાસની દોટમાં જંગલો , વનો , નદી , નાળા , સરોવરો સહિત કુદરતી સ્ત્રોત સામે ખતરો ઉભો થઇ રહ્યો છે . જંગલો અને વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોઈ પર્યાવરણીય સમતુલા જોખમાઈ રહી છે . વિકાસ માટે થઇને લીલાછમ ઘટાદાર વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે જેથી ઋતુચક્રમાં અણધાર્યા બદલાવ અનુભવવા મળી રહ્યા છે . ગ્લોબલ વોર્મિંગના ખતરા સામે સાવધ અને સલામત રહેવા પર્યાવરણ જાળવવા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવી ધરતીને હરિયાળી બનાવવા સૌએ જાગૃત બનવાની જરૂર છે . એક વૃક્ષ પણ માનવજાતને કેટલું ઉપયોગી અને આશીર્વાદરૂપ બને છે તે આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે . પાટણ શિહોરી ત્રણ રસ્તા નજીક બુધવારે રોહિત સમાજના કુમાર અને કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા.આયોજકોએ વિશાળ મંડપ પણ બાંધ્યો હતો પણ તડકો ગરમી વધતા સૌ છાંયડો શોધવા માંડ્યા હતા . અહીં મંડપ બહાર એક જ આંબલીનું ઝાડ ઉભું હતું જેની નીચે મોટી સંખ્યામાં લોકો છાંયડો અને તડકાથી રાહત મેળવવા ટોળે વળીને ઉભા રહ્યા હતા . ત્યારે કોઈએ કહ્યું કે , જુઓ , એક ઝાડ પણ કેટલા બધા લોકોને સાચવે છે . આપણે પણ હવે વૃક્ષો સાચવવા પડશે અને નવા વૃક્ષ વાવવા પડશે .