Home સુરેન્દ્રનગર રણ પાણી પાણી:કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળ્યું!…

રણ પાણી પાણી:કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળ્યું!…

153
0
સુરેન્દ્રનગર: ૧૭ જાન્યુઆરી

ગુજરાતની નર્મદાની કેનાલ હજારો લોકો માટે જીવાદોરી સમાન છે, પરંતુ ઘણા કિસ્સા માં આ કેનાલ ના પાણી નો બેફામ રીતે બગાડ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે, તેવ જ એજ કિસ્સામાં હળવદ તાલુકાના કીડી ગામની બાજુમાં આવેલા મીઠાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી ભરાઈ ગયા હોવાની ઘટના બનવા પામી છે. જેથી કરીને અગરિયાઓને મોટું નુકશાન થયું છે. અને એક કે બે નહિ પરંતુ અંદાજે 15 કિલોમીટર કરતા પણ વધારે વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન જે રીતે પાણી ભરાતું હોય છે. તેવી રીતે પાણી ભરાઈ ગયું છે. મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલ આવે છે. જેમાં હાલમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.

જો કે,પાણીનો બેફામ બગાડ કરવામાં આવતો હોવાથી હાલમાં કેનાલના પાણી હળવદ તાલુકાના કીડી ગામની બાજુમાં આવેલા મીઠાના અગરોમાં ભરાઈ ગયા છે. જેથી કરીને ચાલુ વર્ષે કીડી પાસેના મીઠાના અગરમાં મીઠાનો પાક લઇ શકાય તેમ રહ્યો નથી. કેમ કે, આ પાણી એક કે બે કિલોમીટર નહિ પરંતુ 15 કિલોમીટર કરતા વધારે જમીનમાં હાલમાં નર્મદાનું મીઠું પાણી ભરાઈ ગયું છે. જેથી કરીને ચોમાસા પછી અગરિયાઓ દ્વારા પાળા બાંધવાની તેમજ જમીન સમથળ કરવા માટેની જે મહેનત કરી હતી. અને લાખો રૂપિયાના ખર્ચ કર્યા હતા. તેના ઉપર હાલમાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે. અને છેલ્લા 15 દિવસથી અહી પાણી ભરેલું છે અને પાણીની આવક હજુ પણ ચાલુ જ છે.

આ અંગે બાબુભાઈ મજેઠીયા અને ઉઘરેજા મેઘરાજ સહિતના અગરીયાઓએ અને કીડીના રાજેશભાઈ સંખેસરીયા અને શંભુ રમેશભાઇ સહિતના અગરિયાઓએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં રવિ સીઝન માટે નર્મદાની કેનાલમાં ખેડૂતો દ્વારા ખેતરમાં પાકને પાણી આપી દેવામાં આવ્યા બાદ બકનળી મારફતે કેનાલમાંથી કાઢવામાં આવતા પાણીને બંધ કરવામાં આવતા નથી. જેથી કરીને અગરમાં મીઠાની ખેતી કરતાં બીજા ખેડૂતોને નુકશાન થાય છે. હાલમાં હળવદ તાલુકાના કીડી ગામ પાસે આવેલા મીઠાના અગરમાં મીઠા પાણી ભરાઈ જવાથી છેલ્લા મહિનાઓથી અગરિયાઓ દ્વારા મીઠાનો પાક લેવા માટે જે મજુરી કરવામાં આવી હતી તેના ઉપર પાણી ફરી વળ્યું છે. અને અગિયારીયાઓ મુશ્કેલી વધી ગઇ છે.

કીડીના રણમાં મીઠું પકવતા અગરિયાઓ એક પાળો બનાવવા માટે મજૂરી, ટ્રેક્ટર, સોલાર સહિતનો એક લાખ જેટલો ખર્ચ થાય છે. ત્યારે મીઠું પકવવાનું કામ શરુ થતું હોય છે. જો કે, હાલમાં કેનાલના પાણી મીઠાના અગરમાં ઘુસી જતા 30થી વધુ મીઠાના પાટા ધોવાઈ જવાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ લાખોની નુકશાની થવાની નોબત આવી છે. હળવદ તાલુકાનાં કીડી ગામ નજીક આવેલા મીઠાના અગરમાં છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી પાણી ભરાઈ ગયા છે. અને તેની અધિકારીઓને આ વખતે પણ જાણ કરવામાં આવી છે. તો પણ કોઈ અગરિયાઓની દરકાર લેવા માટે આવ્યું નથી.

અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ચાર-પાંચેક વર્ષથી આ રીતે અગરીયાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી આવી જાય છે. જેથી કરીને દર વર્ષે ખેડૂતોને નુકશાન થાય છે. અને હાલમાં જે પાણી અગરમાં છે, તે કયારે સુકાશે તે કહેવું મુશ્કેલ છે. ત્યારે અગરિયાઓના પાળા બનાવવા સહિતની કામગીરીમાં જે ખર્ચા થયા છે. તેની સામે સરકારી બાબુઓ અને ખેડૂતોની બેદરકારીના લીધે અગરમાં નુકશાન થઈ રહ્યું છે. જેથી કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે. અને નર્મદાનાં પાણી અગરમાં આવતા રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી અગરીયાઓની વ્યાપક માંગ છે.


અહેવાલ; સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here