Home પાટણ જિલ્લા કલેક્ટરે 475 ગામના સરપંચોને સંક્રમણ અટકાવવા ટેલિકોન્ફરન્સ દ્વારા આપ્યુ માર્ગદર્શન

જિલ્લા કલેક્ટરે 475 ગામના સરપંચોને સંક્રમણ અટકાવવા ટેલિકોન્ફરન્સ દ્વારા આપ્યુ માર્ગદર્શન

156
0

પાટણ: ૧૧ જાન્યુઆરી


પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ ઉપરાંત વિવિધ અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા દ્વારા સરપંચો, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો સાથે ટેલિકોન્ફરન્સ યોજી ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ સંક્રમણને અટકાવવા જરૂરી પગલા લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હૉલ ખાતેથી જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા દ્વારા જિલ્લાના ૪૭૫ ગામના સરપંચો  તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો  સાથે ટેલિકોન્ફરન્સ યોજવામાં આવી. ગ્રામ્ય વિસ્તારોમાં શહેરો કે અન્ય ગામોમાંથી આવતા લોકોની અવરજવર તેમજ ભીડ દ્વારા કોરોના સંક્રમણ વધુ ફેલાવાની શક્યતાઓ વચ્ચે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની જોગવાઈઓ મુજબ ચેપી રોગ ફાટી નિકળતો હોય ત્યારે અટકાયતી પગલા ભરવાના હોય છે ત્યારે સરપંચોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી.

જિલ્લાના જે ગામોમાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યો હોય તો તેની સુરક્ષા જાળવવી, લોકોની અવરજવર રોકવી, બહાર ગામથી લોકોના આવાગમન પર નજર રાખવી, હોમ ક્વોરન્ટાઈનનું માર્ગદર્શિકા મુજબ અમલીકરણ કરવા સાથે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા જેવી જવાબદારીઓ નિભાવવા સરપંચોને તાકીદ કરવામાં આવી. લગ્ન સમારંભ કે બેસણા જેવા સામાજીક પ્રસંગો તથા ધાર્મિક પ્રસંગો વગેરેમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરાવવા સાથે સમગ્ર ગામમાં માસ્કના ફરજીયાત ઉપયોગ, સેનેટાઈઝેશન અને સામાજીક અંતર જાળવાય તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સરપંચોને અપીલ કરવામાં આવી.

કોરોના વાયરસના સંક્રમણને ઓળખી શકાય તે માટે આરોગ્ય વિભાગના સંકલનમાં રહી કોમોર્બિડ અને કોવિડના લક્ષણો ધરાવતા લોકોનું સઘન સર્વેલન્સ, ગામમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ અને રસીકરણ તથા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાવવા પણ સરપંચોને અપીલ કરવામાં આવી.


અહેવાલ: પ્રતિનિધિ, પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here