Home ટૉપ ન્યૂઝ કમોસમી માવઠાના લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ પાકને વ્યાપક નુકશાનની ભીતિ!…

કમોસમી માવઠાના લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ પાકને વ્યાપક નુકશાનની ભીતિ!…

139
0

સુરેન્દ્રનગર:૭ જાન્યુઆરી


સમગ્ર ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની સિઝન દરમ્યાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જીરું, વરિયાળી અને ચણા જેવા રવી પાકોનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસું હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભર શિયાળે ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળનાં ઉપ સાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દરિયા કિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 4 જાન્યુઆરીથી બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધ્યું છે. અને ભારતનાં મોટા ભાગમાં 4 થી 6 જાન્યુઆરીમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે.

ત્યારે આ મામલે સુરેન્દ્રનગર હવામાન તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી અચાનક વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ પણ ખુલ્લામાં પડેલા પોતાનો ઉત્પાદિત માલના સલામત સ્થળે ખસેડી લેવા માટે સૂચના આપવામાં આવી છે. રણ પ્રદેશમાં તથા તળાવ વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તંત્ર દ્વારા 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગઈ કાલ રાતથી જ સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણ વાદળછાયુ બન્યું છે.

અને આ વાતાવરણમાં ભેજ હોય તેઓ સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના પંથકોમાં વહેલી સવારથી વાતાવરણ ભેજ વાળું લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી પડી છે. આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લીંબડી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ, જોરાવરનગર અને રતનપર સહિતના ગામોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આ વરસાદથી ઉભા રવી પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

સહાય માટે ખેડુતોનો પોકાર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 78 દિવસમાં ત્રણ માવઠા જિલ્લામાં ખેડૂતોએ સહન કર્યા છે. જેને લઇને રવિ પાક ઉપરાંત કપાસના પાકોને પણ જે તે સમયે નુકસાન થવા પામ્યું છે. આ બાબતે ખેતીવાડી અધિકારીને ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. તે છતાં સર્વે કામગીરી વગર જિલ્લામાં કોઈ નુકસાન ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારે તેવા સંજોગોમાં આગલા વર્ષે પણ માવઠાના પગલે અતિવૃષ્ટિ જેવા વર્ષમાં અને અનિશ્ચિત સમયમાં વરસાદના પગલે ખેડૂતોના પાકોને નુકસાન થયું હતું. તેવા સંજોગોમાં મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળવાપાત્ર હોવા છતાં પણ છેલ્લા એક વર્ષમાં કોઈપણ પ્રકારની સહાય ચુકવવામાં આવી ન હોવાનું ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માવઠાનો માર જે ખેડૂતોને સહન કરવો પડ્યો છે. તેમાં જે નુકસાની થઈ છે તેનો સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 78 દિવસમાં 3 માવઠા પડ્યા

ગ્લોબલ વોર્મિંગના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં ગમે ત્યારે પલટો આવી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં વરસાદ પડી રહ્યો છે અને ચોમાસાની સિઝનમાં ઠંડી વધી રહી છે. ત્યારે શિયાળાની સિઝનમાં વરસાદ પડી રહ્યો છે અને માવઠા પડી રહ્યા છે. ત્યારે છેલ્લા 78 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ માવઠા પડ્યા છે. જેને લઇને શિયાળુ પાકને મોટું નુકસાન સર્જાયું છે. ખેડૂતોના વાવેતર પણ બગડી જવા પામ્યા છે. અને ખેડૂતને આર્થિક રીતે પણ ભારે ભારણ થઈ જવા પામ્યો છે. તેવા સંજોગોમાં ફરી એક વખત જીલ્લામાં માવઠાનો માર ચાલુ વર્ષે પણ ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે.

“ચણા ઉપર પાણા પડે તે સારા પણ પાણી પડે તે નહિ સારું”

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે ત્રણ દિવસની વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઇને ફરી વખત જીલ્લામાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે. જીરા બાદ ચણાના પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. કારણ કે, વડવાઓની કહેવત છે કે, જણા ઉપર પણ આ પડે તો સારું પણ પાણી પડે તો નહીં સારું. ત્યારે હાલમાં માવઠાના પગલે ચણાનો પાક પલળી જવા પામ્યો છે. જેને લઇને તેમાં આવતા ફળ અને જીંજરાને નુકસાન થવા પામ્યું છે. કારણ કે, પાણી પડે એટલે ચણાનો પાક પોતાની ખારાશ મૂકી દે છે. અને જેને લઇને ઉત્પાદન ઘટે છે, ત્યારે ચણાનું વાવેતર કરનાર ખેડૂતો પણ માવઠાના કારણે ભયભીત બન્યા છે.

માવઠાના પગલે જિલ્લામાં હજારો હેક્ટર જીરાનું ઉત્પાદન બગડ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દર વર્ષે રવી પાકનું પુષ્કળ ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે સતત માવઠાના પગલે રવિ પાકોનું વાવેતર બગડ્યું છે. તેમાં ખાસ કરી જીરાના પાકને વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે માવઠાના પગલે જીરાના વાવેતર ઉપર માળખાનું પાણી પડતાં જીરાના વાવેતરમાં સુકારો આવવાની નોબત સર્જાઇ છે. જેને લઇને ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે. કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને જે વાવેતર મોંઘુ બિયારણ કરી મોંઘા ખાતર વપરાશ કરી અને જે વાવેતર કરવામાં આવ્યું છે તે બગડવાની ભીતિ સર્જાઇ જવા પામી છે.


અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here