આજે 2 ઑક્ટોબર એટલે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ. જોકે, ઘણા ઓછા લોકોને ખબર હશે કે, દેશના મહાન સ્વતંત્ર સેનાની અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે. દેશને આઝાદ કરવામાં અનેક મહાપુરુષોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમાંથી એક હતા લાલ બહાદુર શાસ્ત્રી.
જીવન એકદમ સરળ રહ્યું
દેશને ‘જય જવાન જય કિસાન’નું સૂત્ર આપનારા લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ખૂબ જ સરળ હતું. તેઓ પોતાના સરળ સ્વભાવ, ઇમાનદારી અને દૃઢતાના કારણે જાણિતા હતા. તેમનો જન્મ 2 ઑક્ટોબર 1904ના દિવસે ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો. તેઓ જ્યારે દોઢ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારબાદ તેમણે નનિહાલમાં રહીને પોતાનું ભણતર પૂર્ણ કર્યું હતું. માત્ર 16 વર્ષની વયે દેશને આઝાદી અપાવવાની લડાઈમાં સામેલ થવા માટે તેમણે ભણવાનું પણ છોડી દીધું હતું. સ્વતંત્રતા આંદોલન દરમિયાન તેમની ધરપકડ થઈ અને તેમને જેલભેગા કરવામાં આવ્યા હતા.
મહત્વની જવાબદારી સંભાળી
દેશના પ્રધાનમંત્રી બનતા પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી રેલવે મંત્રી અને ગૃહમંત્રી પણ રહી ચૂક્યા હતા, પરંતુ દર વખતે તેમનું જીવન સાધારણ વ્યક્તિ જેવું જ રહ્યું હતું. તેઓ પ્રધાનમંત્રી આવાસમાં ખેતી કરતા હતા. જ્યારે કાર્યાલય તરફથી મળતા ભથ્થા અને વેતનથી જ તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ એટલા સરળ હતા કે, પ્રધાનમંત્રી રહેવા છતાં તેમની પાસે ન તો પોતાનું મકાન હતું અને ના કોઈ સંપત્તિ. એવું કહેવાય છે કે, તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા એ વાત તેમના માતાને પણ કદાચ ખબર નહતી.
શાસ્ત્રીજીના મહત્વના કાર્યો
તેઓ દેશના પહેલા આર્થિક સુધારક હતા. પરમાણુ બોમ્બ પ્રોજેક્ટની શરૂઆત પણ તેમણે જ કરાવી હતી. જ્યારે હરિયાળી અને શ્વેત ક્રાન્તિની શરૂઆત પણ તેમણે કરાવી હતી. ઉપરાંત દૂધના વેપારને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન દેશનું નેતૃત્વ તેમણે કર્યું હતું. સૈનિકો અને ખેડૂતોના મનોબળને વધારવા માટે તેમણે ‘જય જવાન જય કિસાન’ સૂત્ર આપ્યું હતું.
1966માં થયું નિધન
સ્વતંત્રતા સેનાનીની સાથે તેઓ દેશના બીજા પ્રધાનમંત્રી બન્યા. 9 જૂન 1964ના દિવસે તેમણે પ્રધાનમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા. દુર્ભાગ્યથી તેઓ માત્ર દોઢ વર્ષ સુધી જ દેશના પ્રધાનમંત્રી રહી શક્યા. કારણ કે, 11 જાન્યુઆરી 1966ના દિવસે તેમની રહસ્યમય મોત થઈ ગઈ હતી. તે વખતે તેઓ ઉઝબેકિસ્તાનના ટાસ્કન્ટમાં હતા. જોકે, આજ દિન સુધી તેમના મોતનું રહસ્ય અકબંધ છે.