આણંદ.
આણંદ શહેરના રાજોડપુરામાં ઘર નજીકથી પસાર થવાના મુદ્દે થયેલા ઝઘડામાં ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હોવાની વાતને લઇ ચકચાર મચી ગઈ હતી. જોકે, જેતે સમયે પોલીસને ઘટના સ્થળે કશુ મળ્યું નહતું. પરંતુ બુધવાર સવારે એફએસએલની મદદથી તપાસ કરતાં બે કારતૂસ મળી આવ્યાં હતાં. આથી, પકડાયેલા શખસોની પુછપરછ કરતાં તેમની પાસેથી વધુ બે પિસ્તોલ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કબજે કરી છએય શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદના રાજોડપુરામાં ભાથીજી મંદિરની પાસે રહેતા અમન મહેન્દ્રભાઈ ગોહેલ ડેજી સાઉન્ડનું કામ કરે છે. તેઓ 2જી મે,ના રોજ રાત્રે સાતેક વાગ્યાની આસપાસ તેના મિત્ર ગોહેલ વિજય મેલાભાઈ સાથે ક્રિકેટ રમવા ગયાં હતાં. જ્યાંથી તેઓ બાઇક પર પરત ઘરે જતા હતા, તે સમયે રાજોડપુરા બ્રિજની નીચે ખુલ્લા ખેતરની બાજુમાં રોડ પરથી પાંચથી છ અજાણ્યા શખસો નંબર પ્લેટ વગરની ગ્રે કલરની બ્રેજા કાર, બ્લ્યુ કલરની સ્વીફટ કાર લઇને રસ્તામાં ઉભા હતા. આ શખસોએ બન્નેને ઉભા રાખી કહ્યું કે, આ રસ્તા ઉપરથી તમારે કોઇને આવવા – જવાનું નહીં. તેમ કહી એક શખસે કે જેના માથા ઉપર મોટા વાળ અને ચોટલો બાંધેલો હતો. મોટી દાઢી રાખેલી હતી. તેણે અમનને બે લાફા મારી દીધાં હતાં. આ ઉપરાંત સફેદ કલરનો શર્ટ પહેરેલ અને દાઢી રાખેલી તેણે વિજયને લાકડાનો દંડો મારી દીધો હતો. અચાનક આ હુમલાથી અમને તુરંત તેના પિતા અને મિત્ર નિતેશ દિનેશભાઈ ગોહેલ (રહે.રાજોડપુરા)ને ફોન કરી બનાવની વાત કરી, રૂદ્રરાજ ફ્લેટ પાસે જલ્દી આવી જવા જણાવ્યું હતું. જેથી થોડીવાર પછી અમનના પિતા, નિતેશ તથા ઘણા બધા લોકો દોડી આવ્યાં હતાં. જોકે, હુમલાખોરો શખસો પણ પાંચથી છ જેટલા ઘરની આગળ હાથમાં દંડો લઇને રોડ પર ટોળા સામે ઉભા રહી ગયાં હતાં. તેઓએ સામેથી અચાનક પથ્થર મારો શરૂ કરી દીધો હતો. જેથી અમનને બચાવવા આવેલા ટોળાએ પણ પથ્થરમારો કરતાં ત્રણથી ચાર વખત ધડાકાનો અવાજ થયો હતો. જેથી ફાયરીંગ થયાનું જણાતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક છ હુમલાખોરોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સ્થળ પર ફાયરીંગના બનાવને લઇ કોઇ પુરાવા મળ્યાં નહતાં. જોકે, બુધવાર સવારે એફએસએલની મદદથી સ્થળ તપાસ કરતાં બે કારતૂસ સ્થળ પરથી મળી આવ્યાં હતાં. આથી, પકડાયેલા મેહુલ ભરવાડની પુછપરછ કરતાં તેણે ફાયરીંગ કર્યાની કબુલાત કરી હતી અને ફાયરીંગ બાદ પિસ્તોલ તેના ઘરમાં દાડી હોવાનું જણાવ્યું હતું. આથી, પોલીસે ઘરમાં સર્ચ ઓપરેશન કરી બે પિસ્તોલ, બે કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ બનાવ સંદર્ભે મેહુલ ભરવાડ, દાના ભરવાડ, ગગજી, સાગર, પ્રફુલ તથા પ્રદીપની ધરપકડ કરી આગળની પુછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
હુમલાખોરો સામે ભાવનગરમાં પણ ગુના નોંધાયેલા છે
આણંદના રાજોડપુરામાં ફાયરીંગ કરવાના કિસ્સામાં પકડાયેલા છ આરોપીમાં ત્રણ આરોપી સામે અગાઉ ભાવનગર જિલ્લામાં મારામારી, હુમલા સહિતના ગંભીર ગુના દાખલ થયાં છે. જોકે, તેઓ આણંદ શા માટે આવ્યાં હતાં ? તે અંગે પોલીસે પુછપરછ હાથ ધરી હતી.