ખેડા : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ માતર તાલુકાના સંઘાણા પ્રા.આ.કે. નારઘવાણજ ગામમાં માતા અને બાળકની તંદુરસ્તી બાબતે જાગૃતી આવે તે માટે ગુરુશિબીરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ગુરુશિબીરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ. ધ્રુવે સ્વયં હાજર રહી ઉપસ્થિત માતા, બહેનો અને જન સમુદાયને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું. તે માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર લેવો, કિશોરીઓને શિક્ષીત કરવી. કુટુંબનિયોજનની વિવિધ બીન કાયમી (નિરોધ, ઓરલ-પીલ્સ, છાયા, કોપર-ટી અંતરા વગેરે) કાયમી પદ્ધતિઓ, (સ્ત્રી ઓપરેશન, પુરુષ ઓપરેશન) અપનાવવી, દીકરો-દીકરી એક સમાન, સુવાવડ તો દવાખાનામાં જ કરાવવી. ૧૦૮ એમ્બુલન્સ તથા ખિલખીલાટ વાનનો ઉપયોગ, પ્રત્યેક માતા અને બાળક મૂલ્યવાન વગેરે ઉપયોગી સલાહ આપવામાં આવી હતી.
વધુમાં આઇ.સી.ડી.એસ વિભાગ તરફથી સર્ગભા માતા અને ઘાત્રી માતાને મળતી માતૃ શક્તિ, કિશોરીઓને મળતી પૂર્ણ શકિત, તથા બાળકોને બાળ શકિત ભોગનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેનો લાભ લઈ કુપોષણની સમસ્યા હલ કરી શકાય તેમ છે. આજની કિશોરી આવતીકાલની માતા છે.
મેલેરીયા શાખા તરફથી મચ્છરના જીવનચક્ર તેમજ મેલેરીયાથી બચવાના ઉપાયો વિશે જીવંત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા.આ.કે. સંઘાણાના મેડીકલ ઓફિસર, સુપરવાઈઝર તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વર્ષ ૨૦૨૦ બાદ વાર્ષિક સીંગલ આંકડામાં પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જિલ્લા મેલેરીયા અધિકારીશ્રીએ મેલેરીયા થી બચવાના હાથવગા ઉપાયો જેવા કે મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો, વપરાશના પાણીના પાત્રો પણ ઢાંકીને રાખવા, તાવ આવેતો તરતજ નજીકના સરકારી દવાખાનામાં લોહીના નમૂનાની તપાસ કરાવવી જો મેલેરીયા જાહેર થાય તો પૂર્ણ સારવાર લેવી જેવી સુચનાઓ આપવામાં આવી હતી.
આ શિબિરમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.દીનેશ બારોટ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. અલ્પેશ મકવાણા, તાલુકા હેલ્થ ઓફીસર ડો.રીતેશ બેન્કર તથા તાલુકા અને પ્રા.આ.કે. નો આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.