લીંબડી : 21 માર્ચ
નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનું, આર.આર જનરલ હોસ્પિટલ, લીંબડી દ્વારા આજ રોજ વસંત ઋતુમાં થતાં સિઝનલ ફ્લુ જેવા કફજ રોગો સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે પારિભદ્ર પેય એટલે કે લીમડાના મોર અને પાનનો રસ બનાવી લોકોમાં વહેંચવામાં આવ્યો. સાથે સાથે હોમિયોપેથી દવાઓ આર્સેનિક આલ્બ-30 નું પણ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સરકારી આયુર્વેદ દવાખાનું, આર. આર. જનરલ હોસ્પિટલ, લીંબડીમાં ફરજ બજાવતા આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો.જીતેન્દ્ર ડી મકવાણા દ્વારા લોકોને વસંત ઋતુચર્યા અંગે સમજ આપવામાં આવી અને હોમિયોપેથી તબીબ ડો.દિલીપ બારીયા દ્વારા આર્સેનિક આલ્બ-30 દ્વારા લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા સમજ આપવામાં આવી. આજથી આગામી ૧૫ દિવસ સુધી ચૈત્ર માસના પ્રથમ ૧૫ દિવસ સુધી નિયમિત રીતે આર.આર. જનરલ હોસ્પિટલ લીંબડી ખાતે સવારે આ પારિભદ્ર પેયનું વિતરણ કરવામાં આવશે. જેનો લીંબડીની જનતાને લાભ લેવા અપીલ કરવામાં આવે છે. આ સાથે લીંબડી જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત આયુષ વિભાગના આયુર્વેદ અને હોમિયોપેથીના દવાખાને થી વિવિધ રોગોની સારવાર અને પથ્યાપથ્ય ની તેમજ દિનચર્યા અને ઋતુચર્યા અંગેની માહિતી મળી શકશે.