પાટણ : 10 જાન્યુઆરી
પાટણ જિલ્લાના રાધનપુર નગરમાં આવેલી શાંતિકુંજ સોસાયટીના બે બંધ મકાનોને ગત રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી અંદાજે રૂપિયા 93 હજારની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રાધનપુર નગરમાં છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. સમી સાંજે નગરના રાજમાર્ગો સુમસામ બની જાય છે.આ તકનો લાભ ઉઠાવી તસ્કરો પણ સક્રિય બન્યા છે.ત્યારે ગત રોજ મોડી રાત્રે તસ્કરોએ શાંતિકુંજ સોસાયટી ને નિશાન બનાવ્યા હતા અને હમીરભાઈ રાણાભાઈ ચૌધરી તેમજ ધરમશીભાઈ પોપટભાઈ નાયી ના બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી બંને મકાનોમાંથી કુલ રૂપિયા 93 હજારની માલમત્તા ઉઠાવી પલાયન થઈ ગયા હતા.ઠંડીના તીવ્ર ચમકારા વચ્ચે એક સાથે બે મકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની વાત સવારે નગરમાં વહેતી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચોરી અંગેની જાણ રાધનપુર પોલીસને કરાતા પીઆઇ રબારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે. તો સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા રાત્રિના અંધારામાં પાંચ બુકાનીધારી તસ્કરોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.



















