આણંદ: 27 ડિસેમ્બર
અત્યાચાર સહાય ધારા હેઠળ વાલ્મિકી પરિવારને સરકાર તરફથી રૂ. ૮,૨૫,૦૦૦ની સહાય મંજુર કરી તેના પ્રથમ હપ્તાના રૂ. ૪,૧૨,૫૦૦ની રકમ ચુકવાઈ
બેડવા ખાતે મૃતકના પરિવારને સાંત્વના આપતા સાંસદશ્રી મિતેષભાઇ પટેલ
આણંદ જિલ્લાના બેડવા ગામે તાજેતરમાં બનેલા ખુનના બનાવના મૃતક જયદિપભાઇના પરિવારને ગુજરાત સરકારના અત્યાચાર સહાય ધારા હેઠળ સામાજીક ન્યાય અને આધિકારિતા વિભાગ દ્વારા રૂ. ૮,૨૫,૦૦૦ ની સહાય મંજુર કરવામાં આવી છે, જે અંતર્ગત સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે ભોગ બનનારના માતાશ્રી સોનલબેનને પ્રથમ હપ્તાના રૂ. ૪,૧૨,૫૦૦ની ચુકવણી કરવામાં આવી હતી.
સાંસદશ્રી મિતેષભાઇ પટેલે મૃતક જયદિપભાઇ વાલ્મિકીને શ્રધ્ધાંજલી આપીને તેમના પરિવારને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, એક પરિવારે તેમનો દિકરો ગુમાવ્યો છે તેની ખોટ પુરી શકાય નહી પરંતુ આપણાથી બનતી સહાય ચોક્કસ કરી શકીએ. ગુજરાતની સંવેદનશીલ સરકારે આરોપી પર ત્વરિત પગલા ભરી કાર્યવાહી કરી છે અને મૃતકના પરિવારને ખુબ જ ઝડપથી સહાય આપી છે.
તેમણે સરકાર તરફથી કરવામાં આવેલ ત્વરીત કામગીરીને આવકારીને મૃતકના ઘર સુધી તાત્કાલિક સહાય પહોંચાડવા બદલ સંબંધિત તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો. તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે કામ કરવાની હૈયાધારણા આપી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, અનુસુચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રી એ. કે. શેખ, તેમજ પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.