બિપરજોય વાવાઝોડું હવે અતિ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. તેવામાં તેની અસરને જોતાં ગુજરાત સરકાર સુરક્ષા માટે જરૂરી દરેક પગલાં લઈ રહી છે. ચક્રવાત હાલ પોરબંદરથી 290 કિમી, દેવભૂમિ દ્વારકાથી 300 કિમી, જખૌથી 360 કિમી અને નલિયાથી 370 કિમી દૂર છે. પરંતુ સમુદ્રમાં તેની અસર અત્યારથી જોવા મળી રહી છે. જ્યાં એક બાજુ સમુદ્રમાં ઉંચા મોજાં ઉછળી રહ્યા છે. ત્યાં સમુદ્ર કિનારે રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યા છે.
ચક્રવાતી તોફાનના જોખમને જોતા કંડલા બંદર પણ ખાલી કરાવવામાં આવી રહ્યું છે. સમુદ્ર કિનારાવાળા વિસ્તારના 2 કિમીના દાયરામાં આવતા ગામડાઓને ખાલી કરાવવાના નિર્દેશ અપાયા છે. જેના પગલે રસ્તાઓ પર અફરા તફરીની સ્થિતિ છે. હજારો પરિવારોને નજીકના સુરક્ષિત સ્થળો પર મોકલવા માટે રસ્તા પર જે વાહન મળી રહ્યા છે તેમાં પલાયન કરી રહ્યા છે. ગુજરાતમાં બિપરજોય ચક્રવાતને લઈને સતર્કતા વર્તવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા ચક્રવાત સંભવિત વિસ્તારોમાં સુરક્ષા કારણોસર 90 ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા વિભિન્ન સુરક્ષા સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્ર હેઠળ આ ક્ષેત્રોના મુસાફરો માટે રેલવે રિફંડની સુવિધા નિયમો મુજબ ઉપલબ્ધ કરાવશે.
જામનગરના ઐતિહાસિક રેલવે સ્ઠનની જર્જરિત ઈમારતને જામનગર મહાનગર પાલિકાએ સોમવારે બિપરજોય વાવાઝોડાના સંભવિત અસરના પગલે તોડી નાખી. જામનગરના 150 વર્ષ જૂના રેલવે સ્ટેશનને ઘણા વર્ષ પહેલા જ બંધ કરી દેવાયું હતું. પરંતુ ઐતિહાસિક ઈમારત જર્જરીત હોવાના કારણે તેને સોમવારે તોડી પાડવામાં આવી. મોરબીમાં રવિવારે સાંજે 7 વાગ્યાથી તમામ સિરેમિક પ્લાન્ટને બંધ કરવાના આદેશ અપાયા હતા. લખુરઈ ક્રોસ રોડ પાસે દીવાલ પડતા બે બાળકોના મોત પણ થયા. જ્યારે એક બાળક ઘાયલ થયું છે. બાળક રમતા હતા ત્યારે અચાનક દીવાલ પડી ગઈ. પરિજનોનું કહેવું છે કે ભારે પવનના કારણે દીવાલ પડી.
જોકે આ બધા વચ્ચે એક રાહતની વાત આવી છે જે મુજબ સાયક્લોન બિપરજોયની કેટેગરી પાછી બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોનની કેટેગરી એક સ્ટેજ નીચે ઉતરી છે પરંતુ તેની અસરની સંભાવના હજુ પણ યથાવત છે. 13થી 15 જૂન સુધી દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. હાલ પોરબંદરના અતિ સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી અને ગુજરાતમાં સાયક્લોન બિપરજોય અંગે હાલની સ્થિતિ અને પ્રશાસનની તૈયારીઓ અંગે જાણકારી લીધી. આફતની સ્થિતિમાં ગુજરાતને સંપૂર્ણ મદદનો ભરોસો પણ આપ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવોની તાકીદની બેઠક યોજી અને 14 અને 15 જૂન દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી. NDRF ની 21 તથા SDRFની 13 ટીમો તૈનાત કરાઈ. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમો, ઊર્જા વિભાગની 577 ટીમો સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. દરિયાઈ વિસ્તારના 8 જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો, દરિયાકિનારાથી 0થી 10 કિલોમીટર સુધીનાં ગામો તથા વૃદ્ધો બાળકોનું જરૂર-જણાયે સલામત સ્થળે સ્થળાંતરની ત્વરિત વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.