પંચમહાલ: 31 જુલાઈ
જીવ, જળ, જમીન નું રક્ષણ અને સંરક્ષણ કરવાની જવાબદારી સરકારની છે જે જવાબદારી સરકાર નિભાવે અને લોકોને ભયમુક્ત કરે: દિનેશ બારીઆ
ઘણા સમયથી પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને ગામડાઓમાં ફક્ત રાત્રી દરમિયાન ડ્રોન કેમેરા ફરતાં હોવાનું દેખાય રહ્યું છે ત્યારે ગામડાઓમાં લોકો ચિંતિત અને ભયભીત થયા હોવાનું જાણવા મળે છે અને લોકોમાં અનેક પ્રકારની ચિંતા ઉપજાવી છે. તેથી આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆને પૂછતાં તેઓએ ચિંતા વ્યક્ત કરવાની સાથે જણાવ્યું છે કે, ગામડાઓમાં વસતા લોકોમાં કુતૂહલતા, આશ્વર્ય અને ભય પણ વધ્યો છે કેમ કે ઘણા લાંબા દિવસોથી પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં અને ખાસ કરીને ગામડાઓમાં આ ડ્રોન કેમેરા ફરે છે અને એ પણ રાત્રીના સમયમાં તો સ્વભાવિક છે કે લોકોમાં આશ્ચર્ય પણ થાય અને ભય પણ વધે.
આ બાબતે મિડિયામાં પણ સમાચાર આવ્યા છે તથા તંત્રને રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળે છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે હજું સુધી આ બાબતે કોઈ ગંભીર નોંધ લીધી હોય કે વિશેષ જાણકારી તંત્ર એ લોકોને આપી હોય એવી માહિતી નથી.
આજે સરકારની જવાબદારી બને છે કે જીવ, જળ, જમીનનું રક્ષણ અને સંરક્ષણ કરવાની તથા લોકોને ભયમુક્ત જીવન જીવે એ પ્રકારની વ્યવસ્થા કરવાની અને દેખરેખ રાખવાની. આજે હજારો લોકો આ ઘટના ઘણા દિવસોથી જોઇ રહ્યા છે અને ભયભીત થઈ રહ્યા છે. તંત્રને ધ્યાનમાં દોરાવ્યુ હોવા છતાં તેના ઉપર કોઈ અંકુશ મુકાયો નથી તેમજ આ ઘટના બાબતે લોકોને કોઈ વિશેષ જાણકારી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી તેથી લોકોમાં વધારે અચરજ પમાડે છે અને ચિંતામાં વધારો કરે છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, શું સરકાર બેજવાબદાર છે? શું તંત્ર ઉદાસીન છે કે નિંદ્રાધીન? કે પછી જનતાને ભયભીત કરવાનું કોઈ રાજકીય વિશેષ પ્રયોજન તો નથી ને ? એવો પ્રશ્ન ઉભો કર્યો છે.
વધુ માં જણાવતાં કહ્યું છે કે, આજે દ્રેષ, ઇર્ષા અને વૈમનસ્ય વધ્યું છે સામાજીક, આર્થિક, રાજકીય બદલાની ભાવના પણ નકારી શકાતી નથી ટેકનોલોજી નો દુર ઉપયોગ કેટલાક કરે છે. અસામાજીક તત્વો પણ ઘણે અંશે ટેકનોલોજીનો દુર ઉપયોગ કરી રહ્યા છે તેથી લોકોને ડર લાગે છે કે આ ડ્રોન કેમેરાથી કોઈ માહિતી તો મેળવતા નહીં હોય !!
સામાન્ય રીતે કેટલાક લોકો દ્વારા એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે અને એવી જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા જમીન સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આશ્ચર્ય એ બાબતનું થાય છે કે શું માત્ર રાત્રે જ જમીન સર્વે ની કામગીરી થાય! શું માત્ર ગામડાઓમાં જ આ કામગીરી થાય! જો આ સાચું પણ હોય તો તંત્ર કોઈ સૂચના કે પરિપત્ર જાહેર કેમ નથી કરતું? આવા અનેક સવાલો ઉભા થયા છે.
આજે ટેકનોલોજી નો ઉપયોગ જેટલો વધ્યો છે તેટલા જ પ્રમાણમાં દુર ઉપયોગ પણ થઇ રહ્યો છે. ટેકનોલોજીથી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સરળતા આવી છે પણ સમસ્યાઓ પણ વધી રહી છે તેથી સરકારે આ બાબતે સમયસર ગંભીર નોંધ લેવી જોઈએ અને યોગ્ય કરવું જોઈએ. લોકો ભયમુક્ત જીવન જીવે એવી વ્યવસ્થા અને દેખરેખ રાખવાની જવાબદારી સરકારની અને વહીવટી તંત્રની છે એમ કહી આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ એવી પણ રજૂઆત તંત્રને કરવાનું કહ્યું છે કે ડ્રોન કેમેરાનો દુર ઉપયોગ ના થાય તે માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે અને ડ્રોન કેમેરાનો સદ્ ઉપયોગ કરવા માટે લાયસન્સ આપવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા ડ્રોન કેમેરાના દુર ઉપયોગથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની ના થાય. આ બાબતે દિનેશ બારીઆ દ્વારા મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકારને ઇમેઇલ અને વૅબસાઇટમાં જાણ કરવામાં આવી છે તથા જિલ્લા કલેક્ટરશ્રી ને પણ ઇ મેઇલ થી જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.