કાલોલ : 20 જાન્યુઆરી
તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યભરની પાલિકાઓના શહેરી વિકાસ અંગે રાખેલા પરિસંવાદમાં કાલોલનું નામ ગાજયું હતું જેમાં રાજ્યભરની તમામ પાલિકાઓ દ્વારા કરવામાં આવેલી પ્રસંશનીય કામગીરીમાં કાલોલની શાન ગણાતા તિરંગા સર્કલને બેસ્ટ પ્રેક્ટીસ લિસ્ટમાં સમાવેશ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પાલિકા દ્વારા પાછલા વર્ષના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના કમ્પેઈનને સાકારિત કરવા માટે નગરજનોમાં કાયમી ધોરણે દેશભક્તિનો ઉત્સાહ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથીપાલિકા તંત્રએ કાલોલ હાઈવે સ્થિત તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનના ત્રિભેટાની ૨૨૦ મીટરની જગ્યાએ ઉચ્ચક દબાણો દૂર કરીને લોકભાગીદારી અને શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ બચતની રકમમાંથી ૨૦ મીટરના માસ્ટર પોલ પર ૩૦×૨૦ ફુટનો ભવ્ય તિરંગો લહેરાવ્યો હતો. જેની તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યભરની પાલિકાઓના પ્રમુખ અને ચીફ ઓફિસરોની ઉપસ્થિતિમાં યોજાયેલા પરિસંવાદમાં કાલોલ પાલિકાતંત્રની તિરંગા સર્કલ અંગેની પ્રસંશનીય કામગીરી માટે સરકારના પ્રેક્ટીસ લિસ્ટમાં સમાવિષ્ટ કરી પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાલોલ કાલોલ પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાયએ મુખ્યમંત્રીનો આભાર પ્રગટ કરીને કાલોલ નગરના નગરજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.