અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે રાહતના શ્વાસ લેવાનો સમય આવ્યો ચોમાસાની રાહ જોઈ બેસેલા સૌને હાસકારો થશે, કારણકે અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરી છે. 20થી 25 જૂન વચ્ચે અમદાવાદમાં ચોમાસુ બેસી જવાની શક્યતા છે. જો જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું ગતિ પકડે તો 7 રાજ્યમાં ચોમાસું આવી શકે છે. આંદામાન-નિકોબારથી નીકળેલા ચોમાસાએ 10 થી 12 દિવસનં અંતર કાપી લીધું છે.
ચોમાસું કેરળના દરિયા કિનારાથી હવે માત્ર 400 કિલોમીટર દૂર છે. જે કેરળમાં 4 થી 6 જુને આવી પહોંચશે. ચોમાસું કેરળના દરિયાથી 400 કિમી દૂર છે.ત્યારે દક્ષિણની બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસું આગળ વધવા માટે આગામી બે દિવસ પરિસ્થિતિ અનુકૂળ છે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ સામાન્ય રીતે 15 દિવસ બાદ મુંબઈ અને દક્ષિણ ગુજરાત થઈને ગુજરાતમાં ચોમાસું પ્રવેશતુ હોય છે. તેથી ગુજરાતમાં 20 થી 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હા, આ પહેલા હજુ પણ આકરા તાપ અને અસહ્ય ગરમીમાંથી પસાર થવું પડશે.
હવામાન વિભાગ દ્વારા એ પણ જણાવાયું છે કે , ગુજરાતમાં જૂન મહિનામાં તાપમાન સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી વધુ રહેશે. જ્યારે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ રહેશે. સામાન્ય રીતે જુન મહિનામં અમદાવાદનું એવરેજ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહે છે.આ સાથેજ હવામાન વિભાગે જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડુ ફુંકાશે તેવી શક્યતાઓ દર્શાવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતના અનેક શહેરોમાં 30 થી 40 કિમીની ઝડપે પવનની શક્યતા છે.




















