સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસેલા પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર વાહનો લઈને જવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, પંચમહાલ જિલ્લા સમાહર્તાએ બહાર પડેલા એક જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે આગામી બે માસ દરમ્યાન પાવાગઢ તળેટીમાંથી માચી સુધીના માર્ગ ઉપર ST બસ સિવાય અન્ય કોઈ ખાનગી વાહનોને જવા દેવામાં આવશે નહીં. વિકેન્ડના બે દિવસ, પૂનમ, સાથે જાહેર રાજાઓ અને તહેવારોના દિવસ દરમ્યાન આ જાહેરનામાનો પંચમહાલ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવશે.
અહીં વિકેન્ડના બે દિવસ, જાહેર રજાઓ અને તહેવારોના દિવસે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દૂર દૂરથી અહીં આવતા હોય છે ખાનગી વાહનો લઇ આવતા યાત્રાળુઓ,પ્રવાસીઓ તળેટીમાંથી માચી સુધી જાય છે, ત્યારે બે ઘડી રસ્તામાં પોતાના વાહનો ઉભા રાખી કુદરતી નઝારો માણવા ઉભા રહી જતા હોય છે. તો ખાનગી વાહનો આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જેના કારણે પ્રવાસીઓ અને શ્રાધ્ધળુઓ પરેશાન થતા હોય છે.
તળેટી થી માચી સુધીના વળાંકો વાળા માર્ગો ઉપર કરી દેવતા આડેધડ પાર્કિંગ થી કોઈ અકસ્માત કે જાનહાની ન સર્જાય તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી થઈ પડે છે જેના કારણે હવે આવનારા બે માસ દરમિયાન શનિવાર, રવિવાર જાહેર રજાઓના દિવસે, અને તહેવારોના દિવસે તળેટીમાંથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન દ્વિચક્રી વાહનો,રીક્ષા, છકડો, અને ચાર પૈડાવાળા વાહનો તથા ભારે વાહનો લઈ માચી જઇ શકાશે નહીં. આ દિવસો દરમ્યાન માત્ર સરકારી એસટી બસ નો જ ઉપયોગ કરી શકાશે. આ માટે રાજ્ય સરકાર ના એસટી વિભાગ દ્વારા વધારા ના રૂટ દોડાવવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત રાજ્યના એસટી વિભાગને પાવાગઢ તળેટીથી માચી સુધીના રૂટ વધારવા અંગે જણાવવામાં આવતા એસટી વિભાગ દ્વારા જણાવાયું હતું કે પાવાગઢ તળેટી થી માચી સુધી ના માર્ગ ઉપર ગેરકાયદેસર ખાનગી પેસેન્જર વહન કરતા વાહનચાલકો દ્વારા રસ્તામાં તથા માચી ખાતે આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવામાં આવતા એસટી બસો લઈ જવામાં તથા વળાવવામાં ભારે સમસ્યા સર્જાય છે. જેના કારણે પંચમહાલ જિલ્લા કલેકટરે વિકેન્ડ ના બે દિવસ, જાહેર રજાઓ, તથા તહેવારોના દિવસે તમામ પ્રકારના ખાનગી વાહનો તળેટીમાંથી માચી લઈ જવા પર અને પાવાગઢમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે
પંચમહાલ જિલ્લા પોલીસ તથા પાવાગઢ પોલીસે પંચમહાલ જિલ્લા કલેકટરના આ જાહેરનામાની અમલવારી આજથી જ શરૂ કરી દીધી છે આજે વહેલી સવારથી પાવાગઢમાં પ્રવેશવાના તમામ માર્ગો તથા પાવાગઢ તળેટીથી માચી સુધીના માર્ગને બેરીકેટ કરી બંધ કરી દેવામાં આવ્યા છે, અને તમામ યાત્રાળુ અને પ્રવાસીઓના વાહનો તળેટીમાં મુકાવી દેવામાં આવ્યા છે.