Home સુરેન્દ્રનગર મુળીના ખંપાળીયા ગામના ખેડૂતો નર્મદાના પાણી માટે `પાણી’ બતાવવાના મુડમાં આવ્યાં

મુળીના ખંપાળીયા ગામના ખેડૂતો નર્મદાના પાણી માટે `પાણી’ બતાવવાના મુડમાં આવ્યાં

131
0
સુરેન્દ્રનગર : 14મી ફેબ્રુઆરી

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખંપાળીયા ગામના ખેડૂતો પાણીના મુદ્દે આક્રમક મુડમાં આવી ગયાં છે. તેઓ પોતાનું પાણી બતાવી કોઇ પણ ભોગે નર્મદાના નીર મેળવવા આંદોલનના મંડાણ કરવાના મુડમાં છે અને આ આંદોલનની આગેવાની ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ લીધી છે. હાલ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થઇ રહ્યા છે અને આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર લડત થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.


સુરેન્દ્રનગર જિલ્લો વરસોથી પાણી માટે વલખાં મારી રહ્યો છે, જિલ્લામાંથી નર્મદા નહેર નિકળતાં આ તરસ ભાંગશે તેવી આશા મંડાઈ હતી. પરંતુ નર્મદાના નીર ભાવનગર, દ્વારકા અને કચ્છ સુધી પહોંચ્યાં છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનો ઘણો ખરો ભાગ હજુ પણ તરસ્યો છે. તેમાંય મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધુ કફોડી બની છે. આ સંદર્ભે ખંપાળીયા ગામના ખેડૂતો આંદોલન માટે આક્રમક બન્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, વઢવાણ, ધ્રાંગધ્રાના ગામડાંઓમાં સભા યોજી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જેના પગલે સોમવારના રોજ ખંપાળીયા ગામમાં પણ સભા યોજાઇ હતી. જેમાં વડધ્રા, રાસીગપર, ગઢડા સહિતના ગામનાં ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ સભામાં સરકાર સામે આક્રોશ વ્યક્ત કરીને આગામી સમયમાં મોટી લડતનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
આ સભામાં ખંપાળીયા ગામના સરપંચ જીવણભાઈએ પણ જરુર પડે જે રીતે લડત આપવાની થાય તે રીતે આપવાની હાંકલ કરી હતી. જ્યારે આગેવાનો પોલભાઈ કરપડા, કીશોરભાઈ સોળમીયા, વલકુભાઈ કરપડા એ પોતપોતાના વક્તવ્ય રજૂ કર્યાં હતાં. હાલ આજે મુળી તાલુકાનાં સરા ગામે પણ ખેડૂત સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામજનો ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો આક્રમક લડત આપીશું (બોક્સ)
આ અંગે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે, નર્મદા નીર માટે આગામી સમયમાં બહુ મોટું આંદોલન કરવામાં આવશે. સરકાર પાસે હજુ પણ સમય છે, ખેડૂતોની માંગ સ્વીકારી તાત્કાલિક ધોરણે નર્મદાના નીર આપી ખેતીને બચાવી લે. નહીંતર આક્રમક લડત આપવામાં આવશે.

-Trending Gujarat

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here