સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કોરોના કેસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. સોમવારે વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા 78ની થઈ છે. જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમા રાખી કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી.
આ અંગેની વધુમાં મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાતા ચિંતા વધી છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અને 312 એન્ટીજન સ્સ્ટ મળીને કુલ 2251 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટમાં બે અને એન્ટીજ ટેસ્ટમાં 14 પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. આ 16 કેસમાં વઢવાણ તાલુકામાં સાત કેસ, લીંબડી તાલુકામાં પાંચ કેસ, ધ્રાંગધ્રા તાલુકામાં એક કેસ અને લખતર તાલુકામાં ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હતા. તમામ પોઝિટિવ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી કેન્દ્રીય રાજ્યમંત્રી અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જીલ્લા કલેકટર એ.કે. ઔરંગાબાદકર, જીલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલા ખાતેની રેફરલ હોસ્પીટલમાં 45 બેડ ઉભા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચોટીલાના નાયબ કલેકટર આર.બી.અંગારીએ અધિકારીઓ સાથે બેઠક યોજી માસ્ક, સોશ્યલ ડિસ્ટનસની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા તેમજ લોકોને આ અંગે જાગૃત કરવા અધિકારીઓને સુચના આપી હતી.