રાજ્યમાં પહેલા PI , PSI ની પસંદગીની જગ્યાઓ પર બદલી કરી આપવામાં પોલીસ ખાતામાં અધિકારીઓની આગતા સ્વાગતા, વ્યવહાર અને વહીવટો કરવામાં આવતા જે સૌ કોઇ જાણે છે. IPS અધિકારીઓ ખાસ કરીને પોતાના મળતિયા PSI , PIને મનગમતી જગ્યાઓ પર પોસ્ટિંગ અપાવતા હોય છે. ત્યારે બદલી કરાવીને ઉપરી અધિકારીઓ પણ મલાઈ ખાતા હોય છે. પોલીસ તંત્રમાં રહેલું આ દૂષણ આજકાલનું નથી, ભ્રષ્ટાચારની આ બીમારી વર્ષોથી આ વિભાગમાં ઘર કરી ગઈ છે. અગાઉ સરકાર પણ ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ગેરરીતિઓ થતી હોવાની કબુલાત કરી ચુકી છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ લીધેલાં એક નિર્ણયથી હાલ ગુજરાતના પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
DGP એ અગાઉ થયેલી ભલામણો જોઈને બદલીઓ મુદ્દે પરિપત્ર બહાર પાડ્યો છે. જેને કારણે હાલ સમગ્ર પોલીસ ખાતામાં હલચલ મચી ગઈ છે. જે અંતર્ગત હવે IPS અધિકારીઓ ભલામણ કરશે તો પણ પસંદગીના PI-PSI ની બદલી નહીં થાય. શહેર તેમજ જિલ્લામાં પોસ્ટિંગ માટે થતી ‘ટેન્ડર’ પ્રથા પર DGP રોક લગાવી શકશે? અત્યાર સુધી માનીતા સત્તાવાર ગોઠવાતા હતા તેના માટે હવે મોટા વહીવટો થવાનો ભય છે.
રાજ્યમાં પોતાના માનીતા PI-PSI ને પસંદગીની જગ્યાઓ પર બદલી કરી આપવા પહેલાં મોટા સેટિંગો ચાલતા હતા. આ વાત જગજાહેર છે. ખુદ નિવૃત્ત પોલીસ અધિકારીઓ પણ ઘણીવાર ઓન કેમેરા આ વાતની કબુલાત કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બદલીઓમાં IPS અધિકારીઓ દ્વારા થતી ભલામણો રાજ્યના પોલીસવડાને ધ્યાને આવતા તેઓ નારાજ થયા હતા. જેને લઈને DPG દ્વારા ચાર દિવસ પહેલા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, કોઈપણ IPS અધિકારીએ પોતાની પસંદગીના PI-PSIની બદલી કરાવવા માટે ભલામણો કરવી નહીં.
પરિપત્રમાં એ વાત પણ જણાવવામાં આવી છેકે, જો ભલામણ કરવામાં આવશે તે ભલામણ માન્ય રાખવામાં આવશે નહીં. આ પરિપત્રને લઈને સમગ્ર પોલીસબેડામાં અફરાતફરી મચી ગઇ છે. બીજી તરફ, શહેરી તેમજ જીલ્લામાં પીઆઇ કે પીએસઆઇના પોસ્ટિંગ માટે થતી ટેન્ડર પ્રથા રાજ્ય પોલીસ વડા રોકી શકે તે એક મોટો સવાલ છે. સિસ્ટમમાં રહેલી બદી ડીજીપીના ધ્યાને આવતા તેમણે પરિપત્ર જાહેર કરીને તેના પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો છે.