કાલોલ: 13 ડિસેમ્બર
ગત મહિને જ અડાદરા ગામે રેતી ખનન રોકવા ગયેલા ખનીજ અધિકારી પર કરેલા હુમલામાં સંડોવાયેલા હુમલાખોર આરોપીઓના જ સાગરિતો હોવાની લોકચર્ચા
કાલોલ તાલુકાના અડાદરા ગામે બેફામ બનેલા રેતી માફિયાઓએ ગત મહિને રેતી ખનન રોકવા ગયેલા ખનીજ અધિકારી પર કરેલા હુમલાની શાહી હજુ સુકાઇ નથી તેના થોડા દિવસોમાં ફરીએકવાર અડાદરા ગામના રેતી માફિયાઓએ ખેડૂત પરિવારના બે ભાઈઓ પર લોખંડની ટોમીથી હુમલો કરીને મારા
રેતી ભરવા મુદ્દે માથાકૂટ: કાલોલના અડાદરા ગામે સુક્લા નદીના પટમાં રેતી ભરવાનું ના પાડતા બે ભાઈઓ પર ચાર ઈસમો દ્વારા લોખંડની ટોમી વડે હુમલો કરીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે, તદ્ઉપરાંત બેફામ બનેલા રેતી માફિયાઓ સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ હુમલા અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદની વિગતો અનુસાર કાલોલ તાલુકાના અડાદરા ગામમાં હાથીચોક ફળિયા ખાતે રહેતા શિવરાજસિંહ દિલીપસિંહ ઠાકોરે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલું કે, અડાદરા ગામમાં આવેલ સુક્લા નદીના પટમાં તેમની સર્વે નંબરવાળી જગ્યામાં સોમવારે સવારે ગયા હતા એ સમયે ગામનો વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરીયો જશવંતસિંહ જાદવ રેતી ખનન કરીને ટેક્ટરમાં રેતી ભરતો હતો જેથી શિવરાજસિંહ ઠાકોરે વિરીયાને રેતી ભરવાનું ના પાડતા બન્ને વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. જે બોલાચાલી પછી શિવરાજસિંહ ઠાકોર અને તેમનો નાનોભાઈ પૃથ્વીરાજસિંહ ઠાકોર અડાદરા ગામની દૂધની ડેરી પર દૂધ ભરવા જતા હતા આ સમયે રસ્તામાં વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરીયો જશવંતસિંહ જાદવ, પંકજકુમાર નટવરસિંહ જાદવ હાથમાં લોખંડની ટોમી લઈને કહેવા લાગ્યા હતા કે ‘તું સુક્લા નદીના પટમાંથી અમને કેમ રેતી ભરવા દેતો નથી?’ કહીને દાદાગીરી કરી ગાળાગાળી કરતા બન્ને ભાઈઓએ ગાળો બોલવાની ના પાડતા વિરેન્દ્ર જાદવે ઉશ્કેરાઈ જઈને લોખંડની ટોમી દ્વારા શિવરાજસિંહ ઠાકોર પર હુમલો કરીને બરડામાં મારી હતી જેથી શિવરાજના નાના ભાઈ પૃથ્વીરાજે ભાઈને છોડાવવા વચ્ચે પડતા વિરેન્દ્રના સાગરિત પંકજ નટવરસિંહ જાદવે લોખંડની ટોમી વડે પૃથ્વીરાજ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. તદ્ઉપરાંત વિરેન્દ્રના ચારેય સાગરિતોઓએ મળીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા. જે સમગ્ર ઘટના અંગે શિવરાજસિંહ દિલીપસિંહ ઠાકોરે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે વિરેન્દ્ર જસવંતસિંહ જાદવ, ભરત નટવરસિંહ જાદવ, પંકજ નટવરસિંહ જાદવ, સરવત ભરતસિંહ જાદવ (ચારેય રહે. અડાદરા) ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અડાદરા પંથકના રેતી માફિયાના હુમલાનો ભોગ બનેલા પરિવારજનોએ પંચમહાલ જિલ્લા કલેકટરને પણ રજુઆત કરી છે, આ રજૂઆત અનુસાર કાલોલ તાલુકાના અડાદરા પંથકમાં રેતી માફિયા અને બુટલેગર તરીકે કુખ્યાત વિરેન્દ્ર જાદવ અને તેના સાગરીતો દ્વારા તદ્દન ગેરકાયદે અને બેફામપણે રેતી ખનન, બુટલેગર સહિતના ધંધાઓ કરીને હવે અસામાજીક તત્વો બની ગયા છે, જેની સામે સ્થાનિક પોલીસતંત્રના આશીર્વાદથી અનેક લોકોની વાચા અને ફરિયાદો દબાઈ જાય છે. ગત મહિને ખાણ ખનીજ અધિકારી જેવા સક્ષમ સરકારી અધિકારી પર પણ હુમલો કરતા સક્ષમ અધિકારીની ફરિયાદ સામે પોલીસ કાર્યવાહી માત્ર કાગળ પર રહી જવા પામી છે. જેના એક મહિનામાં ફરી એકવાર નિર્દોષ નાગરિકો પર હુમલો કરીને રુઆબ છાંટતા રેતી માફિયાઓ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરી અસામાજીક બનેલા તત્વોને પાસા હેઠળ ધકેલી કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ફરિયાદીના પરિવારજનોએ ઘા નાંખી છે.