આણંદના નાપાડ વાંટા ગ્રામ પંચાયતના કથિક ભ્રષ્ટાચાર અંગે અરજી કરનારા આરટીઆઈ એક્ટીવીટીસ પર પૂર્વ સરપંચ સહિત ત્રણ શખસે હુમલો કર્યો હતો. જેમાં તેનું માથું દિવાલ સાથે અથડાવતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે માનવ વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાપાડ વાંટાના સમડીવાળા ફળીયામાં રહેતા દીપકભાઈ ઈશુભા રાઠોડ (ઉ.વ.39) આરટીઆઈ એક્ટીવીટીસ તરીકે કામ કરે છે. તેઓ 11મી એપ્રિલ,23ના રોજ નાપાડ વાંટા ગ્રામ પંચાયતની ઓફિસે ગયાં હતાં. જ્યાં તેમને ઝઘડો થયો હતો. આ ઝઘડાની જાણ થતાં તેમના પત્ની સીમાબહેન તુરંત ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચ્યાં હતાં. આ સમયે ઘવાયેલા દીપકભાઈ રાઠોડે તેમના પત્ની સીમાબહેનને જાવ્યું હતું કે, હું પંચાયત ઓફિસે ગયેલો અને તલાટી, ગામના પૂર્વ સરપંચ મહેમુદ રાઠોડ, કમાલ રાઠોડ વિગેરે હાજર હતાં. મેં તલાટી તથા પૂર્વ સરપંચ મહેમુદ સાથે એક વર્ષમાં શું કામ કર્યું છે ? તેની માહિતી મેળવવા આરટીઆઈ અરજી આપી હતી. આ સમયે તલાટીએ આવતા અઠવાડીએ આવજો તેમ કહ્યું હતું. જેથી તેઓ પંચાયતમાંથી બહાર નિકળ્યાં હતાં. તે વખતે તેમની પાછળ મહેમુદ રાઠોડ, કમાલ રાઠોડ તથા એક અજાણ્યો છોકરો ત્રણેય ધસી આવ્યાં હતાં અને હાથમાંથી અરજીના કાગળ લઇ લીધા હતા અને ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં. આ ઝપાઝપીમાં તેઓએ પાણીની ટાંકીની દિવાલમાં માથુ પછાડ્યું હતું. જેના કારણે તેઓ નીચે પડી ગયાં હતાં અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી સીમાબહેન ઘવાયેલા દીપકભાઈને તાત્કાલિક સારવાર માટે આણંદની સરકારી દવાખાને લઇ ગયાં હતાં. જ્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરી સારવારમાં ગરદનના મણકામાં ઇજા હોવાનું જણાયું હતું. આથી, ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યાં હતાં. જોકે, તેમનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. આ અંગે દીપક રાઠોડના પત્ની સીમાબહેને આણંદ ગ્રામ્ય પોલીસ મથકે પૂર્વ સરપંચ મહેમુદ જશુભા રાઠોડ, કમાલુદ્દીન ઇસ્માઇલ રાઠોડ અને મોસીન યાસીન રાણા (રહે.નાપાડ વાંટા) સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.