મનુષ્યના જીવનને સાચવવા માટે પર્યાવરણને સાચવવું ખૂબ જરુરી છે. ત્યારે આધુવિક ટેકનોલોજી સાથે આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે.
લોકોએ સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. જે હેતુસર દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત ચાલો જાણીએ કે પર્યાવરણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 5 જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 1972માં શરૂ થઈ હતી. યુનાઈટેડ નેશન્સે 5 જૂન 1972ના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી, ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.
યુનાઈટેડ નેશન્સે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ પર્યાવરણ દિવસ સૌપ્રથમ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઉજવવામાં આવ્યો. 1972માં સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ પરિષદ યોજાઈ હતી, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો. વિશ્વમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ વધતા પ્રદૂષણને કારણે પ્રકૃતિ સામે ખતરો વધી રહ્યો છે. જેને અટકાવવાના હેતુથી પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી, જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ શકે અને પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવવા માટે પ્રેરિત કરી શકાય.